
મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસની આજની કેબિનેટ બેઠક પણ ખુબ નીરસ રહી હતી, જેનાથી એવી અટકળોને વધુ વેગ મળ્યો કે મહાયુતિ સરકારની અંદર બધુ બરાબર નથી. હકીકતમાં શિવસેનાના વડા DyCM એકનાથ શિંદેએ તો મંગળવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી, પરંતુ તેમના પક્ષના ક્વોટામાંથી એક પણ મંત્રી આવ્યા ન હતા. એમ જોવા જઈએ તો શિવસેનાએ આજની આ મહત્વપૂર્ણ બેઠકનો એક રીતે બહિષ્કાર કર્યો હતો. મહારાષ્ટ્રના રાજકીય નિષ્ણાતો કહે છે કે, શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ઘણા દિવસોથી ખુબ મોટો મતભેદ ચાલી રહ્યો છે.

વિધાનસભામાંથી મળેલી માહિતી અનુસાર, આજની કેબિનેટ બેઠકમાં ફક્ત DyCM એકનાથ શિંદેએ જ હાજરી આપી હતી, જ્યારે શિવસેનાના મંત્રીઓ બધા મંત્રાલયોમાં તો હાજર હતા પરંતુ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા ન હતા. શિવસેનાના તમામ મંત્રીઓ CM કાર્યાલયમાં જોવા મળ્યા હતા. જોકે, એવા અહેવાલો હતા કે, કેબિનેટ બેઠક પછી, બધા મંત્રીઓ CM ફડણવીસ સાથે અલગથી મુલાકાત કરશે. કેબિનેટ સાતમા માળે ચાલતી હોય છે, અને બધા મંત્રીઓ CM ફડણવીસના કાર્યાલયમાં છઠ્ઠા માળે બેઠા છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, મહારાષ્ટ્ર સરકારમાં મતભેદના અહેવાલો સામે આવ્યા હતા. CM દેવેન્દ્ર ફડણવીસે DyCM એકનાથ શિંદેના નિર્ણયને અટકાવ્યો હતો અને તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલો પાછલી સરકાર દરમિયાન DyCM એકનાથ શિંદે દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે સંકળાયેલો હતો. પાછલી સરકારમાં CM ફડણવીસ DyCM હતા, અને પરિવહન વિભાગ તત્કાલીન CM એકનાથ શિંદે પાસે હતો. DyCM શિંદેએ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) માટે બસો ભાડે લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ CM ફડણવીસે તે નિર્ણયને અટકાવી દીધો હતો.

એપ્રિલ 2025: એપ્રિલમાં, ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણમાં મહાયુતિ સરકારમાં મતભેદના અહેવાલો સામે આવ્યા. તે દરમિયાન, વર્તમાન DyCM એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. ત્યારપછી એવા અહેવાલો આવ્યા હતા કે, DyCM એકનાથ શિંદેએ શાહને DyCM અજીત પવાર વિશે ફરિયાદ કરી હતી. આ પછી, DyCM અજિત પવારે સૂચવ્યું હતું કે, DyCM એકનાથ શિંદેએ અમિત શાહ ને ફરિયાદ કરવાને બદલે મારી સાથે સીધી વાત કરવી જોઈએ. બેઠક પછી, અમિત શાહે કહ્યું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. બધું બરાબર છે. અમિત શાહ NDA અને મહાયુતિના નેતા છે. તેમની સાથે મારી મુલાકાત તેમને રાજ્ય અને મુંબઈમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપવા માટે હતી.
જુલાઈ 2025: 25 જુલાઈની આસપાસ, મહાયુતિ સરકારમાં ફરી એકવાર મતભેદના અહેવાલો સામે આવ્યા. એવું કહેવામાં આવ્યું કે મંત્રીઓ વચ્ચે વિભાગીય કાર્યને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે.
નવેમ્બર 2025: BJP અને શિવસેના વચ્ચે ફરી એકવાર મતભેદના અહેવાલો આવ્યા, પરંતુ કોઈ સીધી રીતે કંઈ કહી રહ્યું ન હતું.

