fbpx

ગજેરા બંધુઓને મોટી રાહત, અત્યારે ધરપકડ નહીં, સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયાનો સમય આપ્યો

Spread the love

ગજેરા બંધુઓને મોટી રાહત, અત્યારે ધરપકડ નહીં, સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયાનો સમય આપ્યો

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને મોટી રાહત મળી છે. તેમને કરોડો રૂપિયાના ફોર્જરી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ગજેરા બંધુઓ સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે તેમણે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ પિટિશન સ્વીકારતા નિર્દેશ આપ્યો છે કે, આગામી 2 અઠવાડિયા સુધી પોલીસ આરોપીઓ સામે કોઈ વિશેષ કે કડક પગલા નહીં લઈ શકે.

ઉલ્લેખનીય છે કે, શાંતિ રેસિડેન્સી પ્રાઈવેટ લિમિટેડના સંચાલકો અશોક ગજેરા, વસંત ગજેરા, ચુની ગજેરા અને રાકેશ ગજેરા સામે મની લોન્ડરિંગ અને છેતરપિંડીના ગંભીર આરોપ લાગ્યા છે. ફરિયાદી પ્રવિણ અગ્રવાલે આરોપ લગાવ્યો હતો કે, શહેર પોલીસ આ મામલે ફરિયાદ નોંધતી નહોતી, જેના કારણે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ મામલે ગંભીરતા દાખવી આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, હાઈકોર્ટના આ આદેશ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગજેરા બંધુઓ સામે રૂપિયા 147 કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગની કલમો હેઠળ FIR દાખલ કરી હતી. ગજેરા બંધુઓએ પોલીસ કાર્યવાહીથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી. આ સુનાવણી દરમિયાન આરોપીઓ તરફથી દેશના દિગ્ગજ એડવોકેટ્સ અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, નીચલી કોર્ટે કેસના મહત્ત્વના પાસાઓને ધ્યાને લીધા નથી.

Supreme Court-Madarsa

સુપ્રીમ કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે સમય આપતા જણાવ્યું છે કે, તેઓ આગામી 2 અઠવાડિયામાં હાઈકોર્ટમાં ‘ક્વોશિંગ પિટિશન’ (FIR રદ કરવાની અરજી) દાખલ કરી શકે છે. આ દરમિયાન આરોપીઓને ધરપકડ સામે સુરક્ષા આપવામાં આવી છે, જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી શકે. આ નિર્ણયથી ગજેરા બંધુઓને થોડી રાહત મળી છે.

સ્થાનિક સ્તરે એડવોકેટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નિર્ધારિત સમય મર્યાદામાં જ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટમાં થનારી આ આગામી સુનાવણીમાં પોલીસ અને ફરિયાદી પક્ષ દ્વારા શું વલણ અપનાવવામાં આવે છે અને ગજેરા બંધુઓની મુશ્કેલીઓમાં વધારો થાય છે કે ઘટાડો.

શું છે સમગ્ર મામલો અને આક્ષેપો?

ફરિયાદી પ્રવિણ અગ્રવાલના આક્ષેપ મુજબ, લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સહિત ગજેરા બંધુઓની અંદાજે 45 જેટલી કંપનીઓ કાર્યરત છે. વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ફરિયાદીના 43% હિસ્સાના શેરવાળી ‘શાંતિ રેસિડેન્સી’ મિલકતોનું માર્કેટ ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું, પરંતુ કંપનીના ચોપડે માત્ર જંત્રી મુજબની નોમિનલ રકમ જ દર્શાવી બાકીની મોટી રકમની ઉચાપત કરવામાં આવી છે.

surya2

આરોપ છે કે ઉચાપત કરેલી રકમ હવાલા મારફતે હોંગકોંગ મોકલવામાં આવી હતી. આ રકમને રાકેશ ગજેરા દ્વારા ફોરેન ઇન્વેસ્ટર તરીકે દર્શાવી કંપનીમાં જ મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. કંપનીમાં ફરિયાદી, તેમના પિતા અને પત્નીની ખોટી સહીઓ કરીને બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. 

આરોપ લગાવાયો છે કે ફરિયાદીના પરિવારનો શેર જે 43% હતો, તેને ગેરકાયદેસર રીતે ઘટાડીને માત્ર 4.02% કરી દેવાનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે. ફરિયાદીની ડિરેક્ટરશીપ રદ કરવા માટે તેમના રાજીનામા પર પણ બોગસ સહીઓ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે.

error: Content is protected !!