
પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે ખુલ્લેઆમ યુદ્ધ જાહેર કર્યું છે. 26-27 ફેબ્રુઆરીની રાત્રે, તેણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા, જેનાથી વિનાશ થયો. અગાઉ, 26 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે, અફઘાન તાલિબાન શાસને પાકિસ્તાન પર મોટા હુમલાનો દાવો કર્યો હતો. તેમણે અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરવાનો અને અનેક સૈનિકોને મારવાનો દાવો કર્યો હતો. તાલિબાને આને ગયા અઠવાડિયે પાકિસ્તાનના હુમલાનો બદલો ગણાવ્યો હતો.
પરંતુ સવાલ એ છે કે, બંને દેશો વચ્ચે યુદ્ધની આવી સ્થિતિ થઇ કેવી રીતે? તે બંને વચ્ચે વિવાદ શું છે, અને પાકિસ્તાન આ બધામાં ભારતનું નામ કેમ લઈ રહ્યું છે? તો ચાલો, તમને એક પછી એક આ સવાલોના જવાબ વિશે જણાવી દઈએ… પહેલા એ બતાવીએ કે હાલની આ યુદ્ધની પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ. તો જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર કરેલા હુમલાનો આ જવાબ છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને 21 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનમાં અનેક સ્થળો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાને આતંકવાદી છાવણીઓ અને ઠેકાણાને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને જણાવ્યું હતું કે, તેની પાસે નક્કર પુરાવા છે કે તેની ધરતી પર આતંકવાદી હુમલાઓ અફઘાનિસ્તાનમાં તેના માલિકોના નિર્દેશ હેઠળ થઈ રહ્યા છે.
પાકિસ્તાની સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલામાં ઓછામાં ઓછા 70 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે, હુમલાઓમાં 13 નાગરિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે પાકિસ્તાનના હુમલાની નિંદા કરી હતી, તેને તેની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે ચેતવણી પણ આપી હતી કે સમય આવશે ત્યારે યોગ્ય જવાબ આપવામાં આવશે.

ભારતે પણ આ હુમલાઓની સખત નિંદા કરી હતી, તેને પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ભારતે પણ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
હવે, હુમલાના લગભગ એક અઠવાડિયા પછી, ગુરુવાર રાત્રે, 26 ફેબ્રુઆરીએ, અફઘાનિસ્તાને પાકિસ્તાનની સરહદે આવેલા અનેક વિસ્તારો પર હુમલો કર્યો. તેણે ઘણી ચોકીઓ કબજે કરી હોવાનો અને ઘણા પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાને ગયા અઠવાડિયે પાકિસ્તાનના હુમલાનો જવાબ માનવામાં આવ્યો હતો.

પાકિસ્તાન પણ ચૂપ ન રહ્યું. તેણે તરત જ જવાબ આપ્યો. તેણે મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનને હચમચાવી નાખ્યું. રાજધાની કાબુલ સહિત કંદહાર અને પક્તિયા પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં, સોશિયલ મીડિયા પર એવા દાવાઓ ફરવા લાગ્યા કે તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની વાયુસેનાના F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું છે. જોકે, આ દાવાની પુષ્ટિ થઈ નથી.

જોકે, સવાર સુધીમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન, ખ્વાજા આસિફે, અફઘાનિસ્તાન સામે ખુલ્લા યુદ્ધની ઘોષણા કરી. તેમણે હંમેશની જેમ, ભારતને પણ આ સંઘર્ષમાં ખેંચી લીધું. ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે, તાલિબાન ભારત માટે પ્રોક્સી તરીકે કામ કરી રહ્યું છે અને તેના ઈશારે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.

વર્તમાન પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે, ભારતના બે પડોશી દેશો વચ્ચેનું આ યુદ્ધ લાંબા ગાળાનું રહેશે. બંને પક્ષો તેમના હુમલાઓને વધુ તીવ્ર બનાવી શકે છે. અગાઉ, ઓક્ટોબર 2025 માં, બંને દેશો વચ્ચે ઘણા દિવસો સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. આ સંઘર્ષમાં બંને પક્ષોને ભારે નુકસાન થયું હતું. બાદમાં તુર્કી અને કતારની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો. જોકે, યુદ્ધવિરામ નાજુક રહ્યો, અને સરહદ પર તણાવ ચાલુ રહ્યો, અને હુમલાઓ થતા રહ્યા.
હવે, ચાલો બંને દેશો વચ્ચેના વિવાદનું સાચું કારણ સમજીએ. આમ તો પાકિસ્તાને 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તામાં પાછા ફરવાની ઉજવણી કરી હતી. તત્કાલીન પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને તો જાહેર કર્યું હતું કે અફઘાનોએ ‘ગુલામીની બેડીઓ તોડી નાખી છે.’ જોકે, પાકિસ્તાનનો આ આનંદ થોડા સમય માટે જ રહ્યો. તેમને ખ્યાલ આવ્યો કે, તાલિબાન તેઓ જેમ ઈચ્છે છે તે મુજબ સહકાર આપશે નહીં.

આ જ સમયે, પાકિસ્તાનમાં થનારા આતંકવાદી હુમલાઓ પણ વધ્યા. એક મીડિયા એજન્સી અને ત્યાંની સ્થાનિક સંસ્થાનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે, છે કે 2022થી પાકિસ્તાનમાં આતંકવાદ દર વર્ષે વધ્યો છે. તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, જેને TTP તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બલૂચ બળવાખોરો દ્વારા હુમલાઓ વધ્યા છે. પાકિસ્તાને સતત આરોપ લગાવ્યો છે કે, TTP નેતાઓ અને ઘણા લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં આશ્રય લઈ રહ્યા છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, બલૂચ બળવાખોરો પણ અફઘાનિસ્તાનનો ઉપયોગ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે કરે છે. જો કે, તાલિબાને વારંવાર આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહેતું આવ્યું છે કે, પાકિસ્તાનમાં થયેલા હુમલાઓમાં તેની કોઈ ભૂમિકા નથી. હવે જોવાનું એ રહ્યું કે, આ સંઘર્ષ ક્યાં જઈને અટકી જશે.
