fbpx

‘આ લોકો કોણ હોય છે તેને કહેવાવાળા..’ આ શું ધોની વિશે મીઠા વેણ કેવી રીતે બોલી રહ્યા છે યોગરાજ સિંહ?

Spread the love

‘આ લોકો કોણ હોય છે તેને કહેવાવાળા..’  આ શું ધોની વિશે મીઠા વેણ કેવી રીતે બોલી રહ્યા છે યોગરાજ સિંહ?

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સુપરસ્ટાર એમ.એસ. ધોનીના IPL ભવિષ્ય અંગે ઘણી અટકળો ચાલી રહી છે. 2026ની IPL સીઝન અગાઉ, નિષ્ણાતો અને ફેન્સ વિચારી રહ્યા છે કે શું આ છેલ્લું વર્ષ હશે, જ્યારે અનુભવી વિકેટકીપર-બેટ્સમેન એક્શનમાં જોવા મળશે. જોકે, ધોનીએ તેના ભવિષ્ય અંગે કોઈ પુષ્ટિ કરી નથી અને આજથી શરૂ થતી નવી સીઝનમાં તે એક્શનમાં જોવા મળશે. તો, સીઝન શરૂ થાય તે અગાઉ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ધોની અંગે એક નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

યોગરાજ સિંહે અગાઉ ધોની અંગે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, પરંતુ એવું લાગે છે કે તેમણે હવે પોતાનો સૂર બદલી નાખ્યો છે. યોગરાજે ધોનીની નિવૃત્તિની માંગ કરનારાઓની ભારે ટીકા કરી છે. અને કહ્યું કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ઓછામાં ઓછા વધુ એક દાયકા સુધી રમવાનું ચાલુ રાખવું જોઈએ. યોગરાજે કહ્યું કે ધોનીએ તેની ફિટનેસ સાબિત કરી છે. આ દરમિયાન, તેમણે ધોનીના સમર્પણ અને અનુશાસન જાળવી રાખવા બદલ પણ તેની પ્રશંસા પણ કરી.

yograj-singh1

યોગરાજ સિંહે ઈનસાઈડસ્પોર્ટ સાથે વાત કરતા કહ્યું કે, ધોની હજુ પણ રમી રહ્યો છે, અને તેણે આગામી 10 વર્ષ સુધી આમ કરવાનું ચાલુ રાખવું જોઈએ. કારણ તેણે યોગ્ય અનુશાસન અને સમર્પણ સાથે પોતાની ફિટનેસ સાબિત કરી છે. હું હજુ પણ તેના કાંડા જોઉં છું, અદ્ભુત છે. લોકો કોણ હોય છે તેને નિવૃત્તિ લેવાનું કહેવાવાળા? જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે, હું તેને સલામ કરું છું.

ઉલ્લેખનીય છે કે યોગરાજે ભૂતકાળમાં અનેક વખત ધોનીની ખુલ્લેઆમ ટીકા કરી છે. યોગરાજે ધોની પર ઘણી વખત આરોપ લગાવ્યા છે કે, તેણે યુવરાજની કારકિર્દી ખતમ કરી દીધી છે.

dhoni1

છેલ્લા કેટલાક વર્ષોમાં, ધોનીને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે, ‘શું આ તમારી છેલ્લી સીઝન હશે?’ અને તેણે હંમેશાં કહ્યું છે, ‘ચોક્કસપણે નહીં’, અથવા કહ્યું છે કે તે પ્રયાસ કરતો રહેશે. 44 વર્ષની ઉંમરે ધોની હાલમાં IPLમાં ભાગ લેનાર સૌથી મોટી ઉંમરનો અનકેપ્ડ ખેલાડી છે. જો કે, છેલ્લા કેટલાક સીઝનમાં તેનું પ્રદર્શન ખરાબ થયું છે.

આ ઉપરાંત, ધોની ઘૂંટણની ઈજાથી પણ ઝઝૂમી રહ્યો છે. આ જ કારણ છે કે ધોની સાતમા કે આઠમા નંબર પર બેટિંગ કરવા માટે ઉતરે છે, જેની ભારે ટીકા થઈ છે. તે થોડા બોલ પર બેટિંગ કરી શકે છે, પરંતુ તે ચોક્કસપણે ચાર કે પાંચ ઓવર ટકી શકતો નથી. IPL 2026ની શરૂઆત અગાઉ, ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને પૂછવામાં આવ્યું હતું કે ધોની કયા સ્થાન પર બેટિંગ કરશે. કેપ્ટને કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે, તેમાં ભાગ્યે જ કોઈને શંકા હશે કે ધોની છેલ્લી કેટલીક સીઝનમાં જે ભૂમિકા ભજવી છે તે જ ભૂમિકામાં જોવા મળશે.

error: Content is protected !!