
ભગવાન રામનું પાત્ર ભજવનાર રણબીર કપૂર 2 એપ્રિલના રોજ ટીઝરમાં મોટા પડદા પર પોતાનો અભિનય રજૂ કરશે. નિર્માતાઓએ ભારતમાં આ ખાસ તારીખ પસંદ કરી, કારણ કે તે દિવસે રામના પરમ ભક્ત હનુમાનજીનો ‘હનુમાન જન્મોત્સવ’ છે. આ વાતની જયારથી જાહેરાત થઈ છે ત્યારથી, ચાહકો આ ખૂબ જ અપેક્ષિત ફિલ્મની એક ઝલક જોવા માટે ઘણા ઉત્સુક છે.

આ દરમિયાન, ‘રામાયણ’ ફિલ્મનું ટીઝર લોસ એન્જલસમાં એક ખાસ સ્ક્રીનિંગમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂર અને ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારી દ્વારા હાજરી આપવામાં આવી હતી. સ્ક્રીનિંગ દરમિયાન, રણબીરે ભગવાન રામ વિશે વાત કરી હતી, અને ટીઝર જોયા પછી ચાહકોએ પણ તેમની પહેલી સમીક્ષાઓ આપી હતી. ફિલ્મના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતાઓ હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘રામાયણ’ માટે પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર રણબીર કપૂરના આ ખાસ કાર્યક્રમનો એક આંતરિક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીડિયા અને ત્યાં હાજર તેના ચાહકો સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભગવાન રામનો અભિનય પડદા પર ભજવવા અંગે અભિનેતાએ કહ્યું, ‘ભગવાન રામ સદીઓથી વિશ્વભરના અબજો લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ ધર્મ, કરુણા, હિંમત અને ક્ષમાનું પ્રતીક છે. તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે, જેનો અર્થ આદર્શ પુરુષ થાય છે.’

આ કાર્યક્રમમાં, રણબીર કપૂરે તેમની આગામી ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું. જેને જોયા પછી દર્શકો ભાવુક થયા અને રણબીર પર પ્રશંસાનો વરસાદ વરસાવ્યો. એક યુઝરે લખ્યું, ‘રામનું ટીઝર જોઈને મને સન્માનની લાગણી થાય છે.’ બીજા યુઝરે લખ્યું, ‘આ લોકો કોઈ વાર્તા ફરીથી રજૂ કરી રહ્યા નથી. તેઓ એવી દુનિયા બનાવી રહ્યા છે, જ્યાં પૌરાણિક કથાઓ જીવંત, ગહન અને આપણે પહેલાં જોયેલી કોઈપણ વસ્તુ કરતાં વધુ વિશાળ લાગે છે. તે શ્રદ્ધા અને સમૃદ્ધ ભાવનાથી બનાવવામાં આવી છે, જેમાં ઝીણામાં ઝીણી વિગતો પણ છે, જેમાં તમે પુરેપુરા ડૂબી જશો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘એક દ્રશ્ય છે, જ્યાં ભગવાન રામ એક હોડી પર બેઠા છે અને, જેવું તેમનું નામ બોલવામાં આવે છે, તેઓ ધીરે રહીને ફરીને જોય છે. આ દ્રશ્ય જોઈને હું ખૂબ જ ભાવુક થઈ ગયો.

નિતેશ તિવારીની ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થશે. જેમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવે છે અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવે છે. KGF સ્ટાર રાવણની ભૂમિકા ભજવશે, સની દેઓલ હનુમાનજીની ભૂમિકા ભજવશે, અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે. કાજલ અગ્રવાલ મંદોદરીની ભૂમિકા ભજવશે, અને રકુલ પ્રીત સિંહ શૂર્પણખાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનો પહેલો ભાગ આ દિવાળીએ રિલીઝ થશે.