
ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (TTAADC)ની ચૂંટણીઓમાં BJPને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી ફક્ત 4 બેઠકો જ જીતી શકી, જ્યારે TIPRA મોથાએ 28માંથી 24 બેઠકો જીતીને પોતાની ઉપસ્થિતિને મજબૂત કરી હતી.
અહીં તમને બતાવી દઈએ કે, ત્રિપુરા વિધાનસભામાં 20 આદિવાસી અનામત બેઠકો માટે આ ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ રાજ્યના લગભગ 70 ટકા પ્રદેશનું સંચાલન કરે છે. BJPએ તમામ 28 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું અને જોરશોરથી પ્રચાર પણ કર્યો હતો, પરંતુ તેને મોટો ફટકો પડ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, TIPRA મોથાના વડા પ્રદ્યુત માણિક્ય દેબબર્માએ તાજેતરમાં ‘ગ્રેટર ટિપ્રાલેન્ડ’ માટે એક નવી રાજકીય પહેલ શરૂ કરી છે, જેમાં ઘણા અન્ય નેતાઓ પણ જોડાયા છે. નિષ્ણાતો માને છે કે, ત્રિપુરામાં આદિવાસી મુદ્દાઓ ઉઠાવીને એક નવા પ્રકારની રાજનીતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્થાનિક ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર દર્શાવ્યું છે કે, રાષ્ટ્રીય પક્ષોની પકડ હજુ પણ આદિવાસી વિસ્તારોમાં નબળી છે. ત્યાં ભાષા, જમીન અધિકારો અને ઓળખ જેવા સ્થાનિક મુદ્દાઓ હજુ પણ પ્રભુત્વ ધરાવે છે.

આ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા, ત્રિપુરાના CM માણિક સાહાએ કહ્યું, ‘અમે TIPRA મોથાને તેમની જીત બદલ અભિનંદન આપીએ છીએ અને લોકોના નિર્ણયને નમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. અમે આ હારને શીખવાની એક તક તરીકે જોઈએ છીએ.’
TIPRA મોથા પણ આ જીતને મહત્વપૂર્ણ માની રહ્યા છે. આ પાર્ટી લાંબા સમયથી ‘ગ્રેટર ટીપ્રાલેન્ડ’ની માંગણી કરી રહી છે. તેથી, લોકોએ આપેલો આ જનાદેશ તેમની વિચારધારાને વધુ મજબૂત બનાવી શકે છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે, આ પરિણામથી BJPની ADC કબજે કરવાની આશાઓ પર પાણી ફરી ગયું છે. એકંદરે, આ ચૂંટણી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં પરંતુ આદિવાસી વિસ્તારોમાં એક નવું રાજકીય સમીકરણ ઉભરી રહ્યું છે તે પણ દર્શાવે છે. આ નિર્ણાયક આદેશ પછી TIPRA મોથા તેમની વહીવટી જવાબદારીઓ કેટલી અસરકારક રીતે નિભાવશે અને તે જાહેર અપેક્ષાઓ કેટલી સારી રીતે પૂર્ણ કરશે તેના પર હવે બધાની નજર છે.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ