21.jpg?w=1110&ssl=1)
સુરતના અલથાણ વિસ્તારમાં પાટીદાર દીકરીને છેડતીની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે 8:15 વાગ્યાની આસપાસ 12 વર્ષીય દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેને છેડતી કરી હતી. સગીરાએ બૂમાબૂમ કરી મૂકાતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી મેથીપાક ચખાડ્યો હતો. લોકોનો રોષ જોતા પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો અને જાહેરમાં સપાટા બોલાવી દીધા હતા, પણ લોકોના હાથમાં નહોતો આવવા દીધો.
ગઇકાલે રાત્રે 4000 થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું, જેને કારણે માહોલ તણાવપૂર્ણ બની ગયું હતું. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે નરાધમ વિધર્મી યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર ‘જય શ્રી રામ’ના નારા અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાસ્થળેથી પોલીસ જેમ-તેમ કરીને આરોપીને અલથાણ પોલીસ મથકે લઈ આવી હતી. આ ઘટનાની અંગેનો મેસેજ વાયુવેગે પાટીદાર સમાજના ગ્રુપમાં ફેલાતાં પાટીદાર ગઢ ગણાતા વરાછા, કતારગામ, કાપોદ્રા અને સરથાણા સહિતના વિસ્તારમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને સરદાર પટેલ ગ્રુપ (SPG)ના સભ્યો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાત વધુ ફેલાતા 4 હજારથી વધુ લોકો છેડતીના સ્થળથી લઈને અલથાણ પોલીસ સ્ટેશન સુધીના 3 કિલોમીટરના વિસ્તારમાં હજારો લોકો એકઠા થઈ જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
લોકોના ટોળાએ અલથાણ પોલીસ મથકે ધસી આવી આરોપીનું હમણા જ સરઘસ કાઢવાની માગણી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાસ્થળે ધારાસભ્ય મનુ પટેલ પણ પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. પોલીસ મથક ઘેરાઈ જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આજુબાજુના પોલીસ મથકના પોલીસકર્મીઓ પણ દોડી આવ્યાં હતા. પોલીસની PCR વાન સતત પેટ્રોલિંગ કરતી રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
પીડિતની માતાએ લોકોનો આભાર માનતા કહ્યું કે, ‘મારી દીકરી સુરક્ષિત છે. તમામ લોકો આવ્યા તેમનો અબહાર. પોલીસે સારો સહકાર આપ્યો. FIR નોંધાવી છે. એને સજા થશે.
સ્થાનિક રહીશ કાંતિભાઈ પટેલે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ઘટના બની ત્યારે હું ઘરે હતો, પરંતુ નીચે ઉતરતા જાણવા મળ્યું કે રાત્રે 8:30 થી 8:45ના ગાળામાં આ શરમજનક કૃત્ય થયું છે. આ વિસ્તારમાં અનેક ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જેના કારણે દીકરીઓની અવરજવર વધુ રહે છે, તેમ છતા અહીં જોઈએ તેવી સુરક્ષા નથી. એ વાત સો ટકા સાચી છે કે અહીં દીકરીઓ સુરક્ષિત નથી.

તેમણે પોલીસ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું હતું કે, આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પોલીસે માત્ર ધરપકડ કરીને અટકવું જોઈએ નહીં, પરંતુ આ નરાધમોને એવી સખત સજા આપવી જોઈએ કે ફરી કોઈ આવું કરવાની હિંમત ન કરે. મારી માગ છે કે પોલીસે આ આરોપીઓને પકડીને આ જ વિસ્તારમાં તેમનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ જેથી લોકોમાં કાયદાનો ડર પેદા થાય.

અલથાણ વિસ્તારમાં જ રહેતાં હેમાંગી લુંગીવાલાએ કહ્યું કે,ટ્યુશન જતી છોકરીને છેલ્લા ત્રણ દિવસથી છેડતી કરવામાં આવી રહી હતી. છેલ્લે સાહસ કરીને તેણીએ બૂમો પાડી અને એમના ટ્યુશન ક્લાસીસના સરો અને બીજા લોકોએ ભેગા થઈને એ વ્યક્તિને પકડી પાડ્યો હતો અને આરોપીને પોલીસમાં કમ્પ્લેઇન્ટ માટે લઈ જવામાં આવ્યો હતો.

વધુમાં હેમાંગી લુંગીવાલાએ કહ્યું કે, એક સારો સ્ટેપ એ છોકરીએ લીધો છે કે એને સજા અપાવી. આ જોઈને ઘણી છોકરીઓને હિંમત મળશે. આ ઘટના બાદ હવે કોઈ છોકરીઓની છેડતી કરવાની હિંમત નહિ કરે. અમે અહીંયા શું થયું તે જોવા આવ્યા ત્યારે લોકોના હોબાળાથી અમને ખબર પડી કે, છેલ્લા ત્રણ દિવસથી આ છોકરીને તે હેરાન કરી રહ્યો હતો.