
ભારત સરકાર દ્વારા જાણીતા ગીતકાર, કવિ અને લેખક પ્રસૂન જોશીની દેશના જાહેર પ્રસારણકર્તા ‘પ્રસાર ભારતી’ ના અધ્યક્ષ (ચેરમેન) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને સર્જનાત્મક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પ્રસૂન જોશીને અભિનંદન પાઠવતા તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી પ્રસૂન જોશીજીને મારા હૃદયપૂર્વકના અભિનંદન. પ્રસૂન જી એક એવા દુર્લભ સર્જનાત્મક આત્મા છે જે જાહેરાત, સાહિત્ય, કળા અને સિનેમામાં વિશ્વભરમાં જાણીતા છે, તેમ છતાં તેમનું હૃદય ભારત માટે ધબકે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તેમના શબ્દોમાં આપણી માટીની સુગંધ છે અને તેમનું વિઝન આપણી સંસ્કૃતિના શાશ્વત સારને પ્રતિબિંબિત કરે છે. તેમના નેતૃત્વ હેઠળ, પ્રસાર ભારતી નવી ઉર્જા, ઊંડા ઉદ્દેશ્ય અને તાજગીભર્યો સર્જનાત્મક અવાજ પ્રાપ્ત કરશે.

પ્રસૂન જોશી આ પહેલા પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે અને તેમની પાસે બહોળો અનુભવ છે. ઓગસ્ટ 2017 થી તેમણે મુંબઈ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ફિલ્મ પ્રમાણપત્ર પ્રક્રિયાઓને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓ અગાઉ ‘મેકકેન વર્લ્ડ ગ્રુપ ઈન્ડિયા’ (McCann World Group India) ના CEO અને ‘મેકકેન વર્લ્ડ ગ્રુપ એશિયા પેસિફિક’ ના અધ્યક્ષ જેવી પ્રતિષ્ઠિત ભૂમિકાઓ પણ ભજવી ચૂક્યા છે. વર્ષ 2016 થી તેઓ ‘ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ’ (IGNCA) ના ટ્રસ્ટીઓ પૈકીના એક છે.
પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકેની તેમની નિમણૂકથી સંસ્થાના પ્રસારણ અને વિષયવસ્તુ (કન્ટેન્ટ) માં નવો બદલાવ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.