પ્રાંતિજના સાંપડ ગામે દેશકાંઠા રામી-માળી સમાજનો ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે શ્રી દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ૧૧ કુંડી નવચંડી યજ્ઞ તથા પ્રતિભા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિક્રમ સંવત ૨૦૮૨ના અધિક જેઠ સુદ-૯ના પવિત્ર દિવસે યોજાયેલા આ ધાર્મિક અને સામાજિક મહોત્સવે સમગ્ર પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો




કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંડપ પ્રવેશ સાથે યજ્ઞનો વિધિવત પ્રારંભ કરાયો હતો. ૧૧ કુંડી નવચંડી યજ્ઞમાં મુખ્ય યજમાન સહિત કુલ ૧૧ યજમાનોએ બેસીને માતાજીની આરાધના કરી પૂજા-અર્ચના અને આહુતિનો લાભ લીધો હતો. દિવસભર ચાલેલા આ પવિત્ર યજ્ઞની પૂર્ણાહુતિ મોડી સાંજે પરંપરાગત રીતે બીડું હોમીને કરવામાં આવી હતી. મહાકાળી માતાજીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું


આ પ્રસંગે દેશકાંઠા રામી-માળી સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા વિશેષ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર તેમજ વિવિધ સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સમાજના અગ્રણીઓ તથા વડીલો દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા


કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટની કારોબારી સમિતિના હેમંતભાઈ રામી, ચેતનકુમાર રામી, અમિતકુમાર રામી, ભાવેશકુમાર રામી તથા વિશાલકુમાર રામી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સફળ આયોજનને પગલે સમગ્ર જિલ્લામાં તેમજ વિવિધ શહેરોમાં વસતા રામી-માળી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી



