
ગઈકાલે સાંજે અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ 5:00 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.
ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ACP સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી પૂછપરછ કરી છે અને આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાસ્થળે DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ ફાયરિંગ સમયે હાજર હતો. આ સિવાય તેમની પુત્રી પણ ત્યાં હાજર હતી.
આ મામલે આજે નિવૃત્ત Dysp અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરતા અશોકસિંહનો પાવર જોવા મળ્યો હતો. તેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. જેથી બે પોલીસ કોન્સ્ટેબલે નિવૃત DySPને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની દીકરીએ આરોપ લગાવ્યો કે, આ સમગ્ર મામલામાં માત્ર ‘વન સાઇડેડ સ્ટોરી’ ચલાવવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે પોલીસ કર્મચારીઓ તેને અટકાવીને લોકઅપ તરફ લઈ જાય છે. આ દરમિયાન જેલના સળિયા પાછળ ધકેલતા અશોકસિંહનો દીકરો પણ હિન્દીમાં બૂમો પાડીને કહે કે, તેમના ઘરમાં ગુંડાઓ ઘૂસી ગયા હતા અને તેમણે માત્ર ‘સેલ્ફ ડિફેન્સ’માં પગલું ભર્યું છે, પરંતુ પોલીસ દ્વારા તેને પણ પાછળ ધકેલી દઈને લોકઅપમાં પૂર્યા હતા.’
અશોકસિંહ ચૌહાણ હાલમાં રિલાયન્સમાં સિકયુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. અશોકસિંહ ચૌહાણ અગાઉ સુરતમાં નોકરી કરતા હતા, ત્યારે તેમણે કોરોના સમયમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ તેમને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ જન્મ દિવસની ઉજવણી કરી છે તેવું નિવેદન આપ્યું હતું. જેના કારણે ચર્ચામાં આવ્યા હતા.

ACP એસ. એમ. પટેલે જણાવ્યું હતું કે, ‘નિવૃત DYSP અશોક ચૌહાણ પાસે જગ્યાનો કબજો હતો, જે જગ્યા સમજૂતી કરારથી અમિત પટેલને ભાડે આપવામાં આવી હતી. નહેરુનગર પાથરણા બજારમાં સ્ટોલ બનાવવા જગ્યા ભાડે આપવામાં આવી હતી. જેથી અમિત પટેલે જગ્યા પર સ્ટોલ બનાવ્યા હતાં. બાદમાં AMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેથી અમિત પટેલે અશોકસિંહ ચૌહાણ પાસે ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા માંગ્યા હતાં, પરંતુ અશોકસિંહ પાસે કોઈ પુરાવા નહોતા.’
પટેલે વધુમાં કહ્યું કે, અમિત પટેલે અશોક સિંહ પાસે ડિપોઝિટ અને સ્ટોલનો ખર્ચ પરત માંગ્યો હતો. ગઈકાલે બંને પક્ષ ભેગા થયા હતાં. આ દરમિયાન અશોક ચૌહાણે લાયન્સવાળી ગનથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. અમિત પટેલે અશોકસિંહ ચૌહાણ, તેમની દીકરી ખ્યાતિ, દીકરા સિદ્ધરાજસિંહ અને સગીર વયના 14 વર્ષના દીકરા સામે પણ ફરિયાદ નોંધાવી છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે.