
વૈશ્વિક સ્તરે ઊર્જાના ઊંચા ભાવ અને સતત અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે ઇંધણ બજાર અંગે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (ATF)ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. આ નવો નિર્ણય આજથી એટલે કે 16 જૂનથી અમલમાં આવ્યો છે. આ દરમિયાન રાહતની વાત છે કે, સરકારે પેટ્રોલ પર નિકાસ પર લાગતા ચાર્જમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેને અગાઉના સ્તરે જાળવી રાખ્યો છે. નાણા મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી એક નોટિફિકેશન બાદ નવા દરો દેશભરમાં લાગૂ કરવામાં આવ્યા છે.
સરકારની નોટિફિકેશન અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારના સમીકરણને ધ્યાનમાં રાખીને, ડીઝલ પર નિકાસ પર લાગતા ચાર્જને ₹13.5 પ્રતિ લીટરથી વધારીને ₹14 પ્રતિ લીટર કરવામાં આવી છે. તો, ATF પર નિકાસ ચાર્જમાં વધુ મોટો વધારો લાગુ કરવામાં આવ્યો છે, આના પર લાગતા ટેક્સને ₹9.5 પ્રતિ લીટરથી વધારીને ₹12.5 પ્રતિ લિટીર કરવામાં આવ્યો છે. તેનાથી વિપરીત, પેટ્રોલ પર લાગતા નિકાસ ચાર્જમાં ₹1.5 પ્રતિ લીટર પર યથાવત છે.

નવા દરો 16 જૂનથી શરૂ થતા આગામી બે અઠવાડિયાના સમયગાળા માટે અમલમાં રહેશે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ પર નજીકથી નજર રાખતા સરકારે આ પગલું ભર્યું છે. આ પ્રાદેશિક તણાવને કારણે ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના વૈશ્વિક ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. આ પરિસ્થિતિને ઉકેલવા અને દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકારે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી (SAED) હેઠળ નિકાસ ચાર્જ વધાર્યો છે. આનાથી કંપનીઓ સ્થાનિક બજાર છોડીને બહાર તેલ નહીં વેંચી શકે.
નવા ટેક્સ માળખા હેઠળ ડીઝલ નિકાસ પર પ્રતિ લીટર ₹14 અને ATF નિકાસ પર પ્રતિ લીટર ₹12.5ની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી લાદવામાં આવશે. પેટ્રોલ પરની ડ્યૂટી પ્રતિ લીટર ₹1.50ના હાલના સ્તરે યથાવત રહેશે. નોંધનીય છે કે, બદલાવ હેઠળ આ ત્રણેય પર કોઈપણ પ્રકારનો ‘રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ’ લાદવામાં આવ્યો નથી. સરકાર દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ATFના સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવોની સમીક્ષા કરે છે, તે મુજબ આ વસૂલાતને સમાયોજિત કરે છે.

તાજેતરના ટેક્સ વધારાથી એ સ્પષ્ટ છે કે, સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભાવની ચિંતા છે. ઊંચા વૈશ્વિક ભાવ સ્થાનિક રિફાઇનરીઓને સ્થાનિક વેચાણ કરતા નિકાસને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, જેના કારણે દેશમાં ઇંધણની અછત સર્જાવાનું જોખમ ઉભું થઇ શકે છે. નિકાસ ડ્યૂટી વધારીને સરકાર વિદેશી વેચાણને ઓછું આકર્ષક બનાવવા માંગે છે, જેનાથી તેલ કંપનીઓ સ્થાનિક બજારમાં પુરવઠો વધારવા માટે પ્રોત્સાહિત થાય.