
દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ સતત વધી રહી હોવાથી એક મોટો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ટ્રાફિકના બાકી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો હવે બાકી લેણાં નહીં ચૂકવે ત્યાં સુધી વિવિધ RTO સેવાઓનો લાભ લઈ શકશે નહીં.
VTV ગુજરાતીના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે અમલમાં મૂકેલી સંકલિત ડિજિટલ સિસ્ટમ હેઠળ વાહન સંબંધિત અરજી કરતા પહેલા અરજદારના નામે નોંધાયેલાં તમામ વાહનોનાં બાકી ઈ-ચલણની આપોઆપ ચકાસણી કરવામાં આવશે. દંડ બાકી હોવાનું જણાય તો અરજી પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે અને પહેલાં દંડ ભરવાની સૂચના અપાશે.

નવી વ્યવસ્થા હેઠળ વાહનની માલિકી પરિવર્તન, RC બૂકમાં સરનામું બદલવું, હાઇપોથિકેશન દૂર કરાવવું, ડુપ્લિકેટ RC મેળવવી સહિતની સેવાઓ માટે અરજી કરતી વખતે સિસ્ટમ બાકી ઈ-ચલણની તપાસ કરશે. આધાર અને મોબાઇલ નંબર સાથે જોડાયેલા અરજદારના નામે અન્ય કોઈ વાહન પર પણ દંડ બાકી હશે તો તેની અસર અરજી પર પડશે.
સરકારે 2024થી અત્યાર સુધીમાં રાજ્યમાં અંદાજે 1.80 કરોડ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જ્યારે 1 જાન્યુઆરીથી 31 જુલાઈ, 2026 દરમિયાન જ 50.6 લાખ ઈ-ચલણ ફટકારાયાં છે. તેમ છતાં દંડ વસૂલાતનો દર હજુ સંતોષકારક નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશભરમાં મે મહિનામાં જારી થયેલાં 88.2 લાખ ઈ-ચલણમાંથી ૭૫.૨૧ લાખ (85 ટકાથી વધુ) ઈ-ચલણની રકમ બાકી રહી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં વાહન સંબંધિત મળતી આશરે 50 ટકા અરજીઓ બાકી ઈ-ચલણના કારણે અટવાઈ રહી છે. જોકે અમદાવાદમાં આ પેન્ડન્સીનો દર માત્ર આશરે 35 ટકા છે. તેનું મુખ્ય કારણ એજન્ટ અરજી દાખલ કરતા પહેલાં જ બાકી દંડ ભરાવી દેતા હોવાનું માનવામાં આવે છે.
સૂત્રો મુજબ, જ્યારે ઘણા વાહનમાલિકોને RTO સેવાની અરજી શરૂ કરે છે ત્યારે જ બાકી ચલણ વિશે જાણ થાય છે. એકવાર વ્યક્તિને ખબર પડે કે ચલણ બાકી છે, તો તેઓ સામાન્ય રીતે દંડ ભરી દે છે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડેટાબેઝ વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરી રહી છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણપણે અમલમાં આવી જશે, પછી સિસ્ટમ બાકી ચલણ ધરાવતા વાહનો સાથે જોડાયેલી કોઈપણ અરજીની પ્રક્રિયાને આપમેળે જ બ્લોક કરી દેશે, જેથી વાહન સંબંધિત તમામ વ્યવહારો માટે બાકી લેણાં ચૂકવવાનું ફરજિયાત બની જશે.