
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી દેશની રાજકીય પરિસ્થિતિ બદલાવા લાગી છે. TMCના 20 સાંસદો એક નવા પક્ષમાં જોડાયા છે, અને શિવસેના-ઉદ્ધવ જૂથના સાંસદો બળવો કરી રહ્યા હોવાની અફવાઓ છે. જ્યારે, DMK સાંસદો પણ NDAને ટેકો આપી શકે છે. તેમના અલગ પક્ષો અને વિચારધારાઓ પણ અલગ હોવા છતાં, જો આ સાંસદો NDAને ટેકો આપે છે, તો શું BJP સરકાર આ 3 બિલો પસાર કરી શકે છે જે હજુ સુધી પસાર થયા નથી? તો ચાલો જોઈ લઈએ કે આ રાજકીય પરિસ્થિતિઓ બદલાવાથી શું અસર થવાની છે.

એવું માનવામાં આવે છે કે, સરકાર ચોમાસા સત્રમાં સીમાંકન, મહિલા અનામત અને UCC બિલ સંબંધિત બંધારણ સુધારા બિલ પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે. આ અગાઉ, સમર્થનના અભાવે આ બિલો એપ્રિલમાં રજૂ થઈ શક્યા ન હતા. પરંતુ જે રીતે, વર્તમાનની રાજકીય પરિસ્થિતિમાં ફેરફારો થઇ રહેલા છે, તે ફેરફારો સૂચવે છે કે, સરકાર જરૂરી સમર્થન મતોની સંખ્યા પ્રાપ્ત કરવાની નજીક પહોંચી ગઈ છે.
એક કે બે મહિનામાં, આખા દેશનો રાજકીય માહોલ બદલાઈ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો બળવો કરીને NCPIમાં જોડાયા છે, અને આ સાંસદો હવે NDAને ટેકો આપવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે તમિલનાડુમાં સત્તા બદલાઈ ગઈ, ત્યારે કોંગ્રેસે DMKનો ત્યાગ કર્યો હતો, જેના કારણે એવી અટકળો શરૂ થઈ ગઈ કે DMKના સાંસદો પણ NDAને ટેકો આપી શકે છે. જોકે, હજુ સુધી એ નિશ્ચિત નથી કે સ્ટાલિનની પાર્ટી બિલને ટેકો આપશે કે નહીં.

જો DMKએ સમર્થન આપી પણ દીધું, તો પણ બે તૃતીયાંશ બહુમતી માટે હજુ બીજા વધારે 14 સાંસદોના સમર્થનની જરૂર પડશે, જેનાથી સવાલ એ ઉભો થાય છે કે, તે 14 સાંસદો કોણ હશે. હકીકતમાં તાજેતરમાં, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ દાવો કર્યો હતો કે, AAPના લોકસભા સાંસદો પણ ગઠબંધનમાં જોડાઈ શકે છે; AAP પાસે કુલ 3 લોકસભા સાંસદો છે. જ્યારે, ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ પણ દાવો કર્યો હતો કે, સમાજવાદી પાર્ટી (SP) વિભાજીત થઈ શકે છે અને તેના સાંસદો NDAને ટેકો આપી શકે છે. SP પાસે 37 સાંસદો છે. આવી સ્થિતિમાં, જો પાર્ટી 10-20 સાંસદોને પણ તોડવામાં સફળ થાય છે, તો પાર્ટી બહુમતીના આંકડાથી પણ આગળ નીકળી જશે.