
બાંગ્લાદેશની સંસદમાં શાસક BNPના સાંસદે તેમના દેશના સ્પીકરને ખૂબ જ વિચિત્ર માંગણી કરી છે. બાંગ્લાદેશના સાંસદ GM સિરાજે તેમના દેશની સંસદમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારીના નિવેદનો પર રોક લગાવવી જોઈએ, તેમના નિવેદનો ભારત-બાંગ્લાદેશની મિત્રતાના હિતમાં નથી.
સિરાજે બાંગ્લાદેશ સંસદમાં 2026-27 નાણાકીય વર્ષ માટે પ્રસ્તાવિત બજેટ પર ચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. સિરાજે ભારત-બાંગ્લાદેશ સરહદ પારથી ભારતમાંથી થતી ઘૂસણખોરી બંધ કરવાની પણ માંગ કરી હતી.
સંસદીય કાર્યવાહી દરમિયાન, BNP સાંસદે કહ્યું, ‘માનનીય સ્પીકર, હું તમારા દ્વારા ભારતની મોદી સરકારને કહેવા માંગુ છું કે, પશ્ચિમ બંગાળના નેતા CM શુભેન્દુ બાબુને અટકાવવા જોઈએ. બાંગ્લાદેશ વિરુદ્ધ તેમના તમામ નિવેદનો, જે તેઓ સમયાંતરે આપતા રહે છે, તે બંને દેશો વચ્ચેની મિત્રતામાં અવરોધ બની ગયા છે.’

તેમણે કહ્યું કે, ‘શેખ હસીનાનો આ સાથે કોઈ સંબંધ નથી. અમને શેખ હસીના વિશે કોઈ ચિંતા નથી. તે હવે બાંગ્લાદેશમાં નથી. તે હવે દ્રશ્યમાંથી બહાર છે.’
એ વાત પર ભાર મૂકતા કે શેખ હસીના હવે બાંગ્લાદેશી રાજકારણમાં મહત્વપૂર્ણ વ્યક્તિ નથી, GM સિરાજે આગળ કહ્યું, ‘આપણે બધા બાંગ્લાદેશ-ભારત મિત્રતાને મૈત્રીપૂર્ણ અને આદરપૂર્ણ રીતે જાળવી રાખવા માંગીએ છીએ.’
GM સિરાજે કહ્યું કે, કોઈ પણ પોતાના પાડોશીથી મોઢું ફેરવી શકે નહીં. તેમણે કહ્યું, ‘બે મિત્રો વચ્ચેની મિત્રતા થોડા સમયની હોય શકે છે, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પણ થોડા સમયનો હોઈ શકે છે. પતિ-પત્ની છૂટાછેડા લઈ શકે છે. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો આ પડોશી સંબંધ છૂટાછેડા લઈ શકતો નથી.’

બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ બાંગ્લાદેશ પહોંચ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો પર આપેલા નિવેદનોનો ઉલ્લેખ કરતા, GM સિરાજે કહ્યું કે, તે નિવેદનોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી.
સાંસદે ભારતને લોકોનું દિલ જીતવા અપીલ કરતા કહ્યું કે, ‘અમે ભારત વિરોધી કે બાંગ્લાદેશ વિરોધી લાગણીઓ ઇચ્છતા નથી. આવી વાતો ન થવી જોઈએ. અમે શાંતિપૂર્ણ સ્થિતિમાં રહેવા માંગીએ છીએ. આ સંદર્ભમાં, મારી વર્તમાન ભારત સરકારને નમ્ર વિનંતી છે કે, કૃપા કરીને લોકોને બળજબરીથી બાંગ્લાદેશમાં ઘુસણખોરી કરાવવાની કામગીરી બંધ કરો.’
અહીં તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય ભાગોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે. સરકાર આવા બાંગ્લાદેશીઓને પકડીને દેશનિકાલ કરી રહી છે. જો કે, બાંગ્લાદેશ આ પગલાંનો વિરોધ કરી રહ્યું છે, અને દાવો કરી રહ્યું છે કે ભારત તેમને બળજબરીથી બાંગ્લાદેશમાં ધકેલી રહ્યું છે.