fbpx

આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

Spread the love

આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

યુરોપમાં વધતા ઇમિગ્રેશન અને ઇસ્લામીકરણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, ડેનમાર્ક હવે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. દેશની સરકાર મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દ્વારા નમાજ માટે કરવામાં આવતી અઝાન પર કાનૂની પ્રતિબંધ લાદવાની શક્યતા પર વિચાર કરી રહી છે. ડેનમાર્કના ઇમિગ્રેશન મંત્રી મોર્ટન બોડસ્કોવે જણાવ્યું હતું કે, નમાજ માટે અઝાનની અવાજ ડેનમાર્કની ઓળખનો ભાગ નથી અને લોકોને એવું ન લાગવું જોઈએ કે, તેઓ યુરોપિયન શહેરને બદલે ઇસ્લામાબાદના કોઈ શહેરમાં  પહોંચી ગયા છે.

બોડસ્કોવે ડેનિશ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ‘નમાજ માટેની અઝાન ડેનમાર્કની અગાસીઓ ઉપર સંભળાવી ન જોઈએ.’ તેમણે ઉમેર્યું હતું કે સરકાર આવો પ્રતિબંધ દેશના બંધારણના દાયરામાં છે કે કેમ તે નક્કી કરવા માટે કાનૂની સમીક્ષા કરી રહી છે.

Denmark-Ban-Azaan

જોકે, હાલમાં, આ ફક્ત એક પ્રસ્તાવ છે અને તેને અંતિમ મંજૂરી મળી નથી. ડેનિશ બંધારણ જાહેરમાં ધર્મ પાળવાની સ્વતંત્રતાની ખાતરી આપે છે, તેથી સરકારે આવા કાયદાની બંધારણીય યોગ્યતાનું પણ મૂલ્યાંકન કરવાની જરૂર પડશે.

ડેનમાર્કમાં આ ચર્ચા નવી નથી. સ્થાનિક ઘોંઘાટના નિયમો પહેલાથી જ રાજધાની કોપનહેગન સહિત ઘણા વિસ્તારોમાં લાઉડસ્પીકર પર અઝાનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. આ ઉપરાંત, 2023માં, સરકારે ધાર્મિક ગ્રંથોના અપમાન પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. કુરાન સળગાવવાની ઘટનાઓ પછી ઘણા મુસ્લિમ દેશોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Denmark-Ban-Azaan

ડેનમાર્કમાં આશરે 270,000 મુસ્લિમો રહે છે અને દેશભરમાં આશરે 100 મસ્જિદો છે. આવામાં, અઝાન પર સંભવિત પ્રતિબંધને મુસ્લિમ સમુદાય માટે એક મોટા નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

તાજેતરના વર્ષોમાં, ઘણા યુરોપિયન દેશોમાં ઇમિગ્રેશન, હિજાબ, ધાર્મિક ઓળખ અને જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. ઘણા દેશોમાં જમણેરી અને ઇમિગ્રેશન વિરોધી જૂથોએ દાવો કર્યો છે કે, મોટા પાયે ઇમિગ્રેશન યુરોપિયન સાંસ્કૃતિક ઓળખને અસર કરી રહ્યું છે.

Denmark-Ban-Azaan

બોડસ્કોવે તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ જણાવ્યું હતું કે, ડેનમાર્કમાં રહેવા માટે કાયદેસર રીતે હકદાર ન હોય તેવા વિદેશીઓને તબક્કાવાર દેશનિકાલ કરવામાં આવશે. તેમણે તેને સરકારની કડક ઇમિગ્રેશન નીતિના ભાગ રૂપે વર્ણવ્યું હતું.

સરકાર પ્રતિબંધની તૈયારી કરી રહી છે, પરંતુ તેનો અમલ કરવો સરળ રહેશે નહીં. બંધારણ ધાર્મિક સ્વતંત્રતાની ગેરંટી આપે છે, અને કોઈપણ નવા કાયદાને કોર્ટમાં પડકારી શકાય છે. તેથી, સરકાર હાલમાં કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ રહી છે. ડેનિશ PM મેટ્ટે ફ્રેડરિકસેનની સરકાર અગાઉ તેની કડક ઇમિગ્રેશન નીતિઓ માટે સમાચારમાં રહી છે.

error: Content is protected !!