
હૈદરાબાદનો એક વેપારી અને તેની પત્ની, જે ભારતથી વેકેશન ગાળવા માટે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા ગયા હતા, ત્યાં તેઓ પતિ પત્ની રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેમના ગુમ થયા પછી, પોલીસને શંકા છે કે આ દંપતી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને જાણી જોઈને દેશ છોડીને ભાગી ગયા છે. ગુમ થયેલા દંપતીની ઓળખ 51 વર્ષીય વેપારી પબ્બા ચંદ્રશેખર અને તેમની 42 વર્ષીય પત્ની સ્વપ્ના તરીકે થઈ છે.

આ આખી બાબત વેપારીની 23 વર્ષની પુત્રી શ્રેયાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પ્રકાશમાં આવી. ફરિયાદ મુજબ, ચંદ્રશેખર અને સ્વપ્ના 22 જૂને હૈદરાબાદથી સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જવા રવાના થયા હતા. શરૂઆતમાં, તેઓ તેમના સંબંધીઓ અને પરિવાર સાથે નિયમિત સંપર્કમાં હતા. પરંતુ ત્યાર પછી, 8 જુલાઈ પછી તેઓએ વાતચીત કરવાનું બંધ કરી દીધું. જ્યારે પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના મોબાઇલ ફોન કાં તો બંધ થઈ ગયા હતા અથવા તો કવરેજ એરિયાની બહાર બતાવતા હતા.
પોતાના માતાપિતાનો સંપર્ક ન થઇ શકતા ચિંતામાં પડેલી તેમની પુત્રીએ કંઈક અનિચ્છનીય બન્યું હોય એવા ડરથી, પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પછી, પોલીસે ગુમ થયેલ વ્યક્તિઓનો રિપોર્ટ નોંધ્યો અને તપાસ શરૂ કરી. આ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

જેમ જેમ પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી, તેમ તેમ એક મોટી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું. માહિતી અનુસાર, પબ્બા ચંદ્રશેખરે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વ્યક્તિઓ પાસેથી મોટી રકમ એકઠી કરી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દંપતીએ 60થી વધુ વ્યક્તિઓ પાસેથી આશરે રૂ. 50 કરોડ એકઠા કર્યા હતા. રોકાણકારોને વિવિધ વ્યવસાયો દ્વારા મોટો નફો મળવાની લાલચ આપીને લલચાવ્યા હતા.

હૈદરાબાદ પોલીસ હવે દંપતીના મુસાફરી રેકોર્ડ અને તેમના બેંક ખાતાઓમાં નાણાકીય વ્યવહારોની બારીકાઈથી તપાસ કરી રહી છે. અને સાથે તેઓ એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ દંપતી ખરેખર સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યું છે કે નહીં. જો કે, પોલીસે હજુ સુધી કોઈ છેતરપિંડી કરી હોવાની ઔપચારિક જાહેરાત કરી નથી. પોલીસ અધિકારીઓ કહે છે કે, તેઓ આ કેસમાં સંભવિત તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે.