fbpx

હાશ! અંબાલાલ પટેલ હવે ફરી આગાહી કરશે, જાણો કોણે મનાવ્યા

Spread the love

હાશ! અંબાલાલ પટેલ હવે ફરી આગાહી કરશે, જાણો કોણે મનાવ્યા

તાજેતરમાં જ ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે તે આગાહી ન કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજ્યભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફોન કરીને અંબાલાલ કાકાને મનાવી લીધા છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે અંબાલાલ પટેલ ગુજરાતના લોકો અને ખેડૂતો માટે હવામાન અંગેની વધુ આગાહી કરશે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, અંબાલાલ કાકાને ગુજરાતના ખેડૂતો સહિત અનેક લોકોએ આગાહી આપવાની ચાલુ રાખવાની વિનંતી કરી હતી. અંબાલાલની આગાહી આપવાની પદ્ધતિ વૈજ્ઞાનિક છે, અનુભવથી છે. તમારી આગાહી 70-80 ટકા સાચી પડે છે. આવી આગાહી તમે એક વ્યક્તિના કારણે બંધ ન કરો, આગાહી આપવાની ચાલુ રાખો.

તેમણે જણાવ્યું હતું કે, મેં પણ ગઈકાલે અંબાલાલ પટેલને ફોન કરીને વ્યક્તિગત આગ્રહ કર્યો હતો કે, તમે તમારું નિવેદન પાછા લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની લાગણીને માન આપીને તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. અંબાલાલ કાકા હવે આગાહી કરશે. મેં બધાની લાગણી એમના સુધી પહોંચાડી હતી અને તેમણે આગાહી કરવાનું કહ્યું છે.

ambalal-patel1

આ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ હવામાનની આગાહી ચાલુ રાખશે. કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ તેમણે આગાહી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ અગાઉની જેમ જ હવામાન અંગે માહિતી આપતા રહેશે.

અંબાલાલ પટેલે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, તેઓ આગાહી બદલ કોઈ ફી કે રૂપિયા લેતા નથી અને લોકો વિશ્વાસ કરે કે ન કરે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. આ સાથે તેમણે વરસાદ અંગે તેમની તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે, 17–18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. 19-30 જુલાઈ દરમિયાન ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી 20 જુલાઈ પછીનો વરસાદ ખેતી માટે લાભદાયક રહેશે. રથયાત્રાના દિવસે હવામાનમાં પલટો આવશે રથયાત્રાના દિવસે અમદાવાદમાં સાંજના સમયે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ કહ્યું હતું કે, વરતારા કરનારાઓએ પ્રીમોન્સૂન અને વાવણી અંગેની આગાહીઓ મે મહિનામાં જ કરી હતી. પરંતુ આજે જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે અને તેમની આગાહી સાચી પડી નથી. વરતારા કરનારાઓની આગાહીઓ ખોટી પડી છે. વિજ્ઞાનજાથાએ નક્કી કર્યું છે કે, તમામ સામે કાનૂની કાર્યવાહી થાય અને તેમને જેલભેગા કરવાની માંગણી અમે કરીશું. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદના કોઈ વાવડ દેખાતા નથી. આવા આગાહીકારો સ્ફુરણાને આધારે જ બોલતા હોય છે અને તેમની આગાહી ખોટી પડવાને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. વરતારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્ર કે ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય. તેમની પાસે કોઈ વૈજ્ઞાનિક સાધન પણ નથી. આથી, આ બંધ કરી દેવું જોઈએ. નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ જયંત પંડ્યાએ આગાહીકારો અને અંબાલાલ પટેલ પર આરોપ મૂક્યો હતો કે, અંબાલાલ કોઈ આધુનિક સાધનોનો ઉપયોગ કર્યા વિના જ આગાહી કરે છે.

ત્યારબાદ ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે વરસાદ અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે તેવી જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમને દુઃખ પહોંચાડનારા છે. આવા આક્ષેપો માત્ર તેમની વ્યક્તિ સામે નથી પરંતુ પરંપરાગત વૈદિક જ્ઞાન અને આપણા ઋષિમુનીઓના જ્ઞાન પર કુઠારાઘાત સમાન છે. સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જ્ઞાન પદ્ધતિને આ રીતે પ્રશ્નોના ઘેરામાં મૂકવી યોગ્ય નથી.

ambalal-patel

અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી. તેમના મતે વિવાદ કરતા સમાજનું કલ્યાણ વધુ મહત્ત્વનું છે એટલે હાલની પરિસ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈ પણ આગાહી કરવા માંગતા નથી. વિવાદો વચ્ચે આગાહી કરવી યોગ્ય નથી અને તેથી તેમણે થોડા સમય માટે આગાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

તેમણે લોકોના સમર્થન અંગે પણ મહત્ત્વની વાત કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે જો તેમને લોકો તરફથી પૂરતું સમર્થન મળશે તો તેઓ ફરીથી વરસાદની આગાહી કરવાનો વિચાર કરશે. જોકે હવે તેઓ આગાહી કરવાનું ચાલું રાખશે તેમ જણાવ્યું છે.

Leave a Reply

error: Content is protected !!