
દિલ્હીમાં ગત 20 જુલાઈએ થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ અને અતિશય બળપ્રયોગના મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળોએ આડેધડ બળપ્રયોગ કર્યો હતો અને આ સમગ્ર મામલે જવાબદેહી નક્કી થવી જરૂરી છે.
25 જુલાઈ 2026ના રોજ લખેલા આ પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દિલ્હીમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓ માત્ર એક નિષ્પક્ષ અને ઉત્તરદાયી શિક્ષણ વ્યવસ્થાની માગ કરી રહ્યા હતા. પરંતુ તેમની વ્યાજબી માગણીઓ સાંભળવાને બદલે તેમની સામે કથિત રીતે ઘાતક હથિયારો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે આ હિંસક કાર્યવાહીમાં સેંકડો વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે પણ કથિત રીતે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનના ઉપયોગ અંગે પણ ઉગ્ર સવાલો ખડા કર્યા છે. તેમણે લખ્યું કે મીડિયા અને સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ તરફ ઈશારો કરે છે. આ દરમિયાન તેમણે 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોછાબનો ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની એક આંખની રોશની જવાનું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત તેમણે કવરેજ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એક પત્રકારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગૃહમંત્રીને સીધા બે સવાલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે બે સીધા જવાબ માગ્યા છે:
1. શું વિદ્યાર્થીઓ સામે પેલેટ ગન સહિતના ઘાતક બળપ્રયોગની મંજૂરી તમે પોતે આપી હતી? જો નથી આપી, તો પછી આટલી ગંભીર મંજૂરી કોણે આપી હતી?
2. પ્રદર્શન દરમિયાન સાદા કપડાંમાં વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવતા દેખાયેલા લોકો પોલીસકર્મીઓ હતા કે પછી કોઈ વોલન્ટિયર્સ? અને તેમની તૈનાતી કોના આદેશ પર કરવામાં આવી હતી?

પત્રના અંતમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું સન્માન થવું જોઈએ. સરકારની નૈતિક અને બંધારણીય જવાબદારી પ્રદર્શનકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને તેમની ફરિયાદોનો ઉકેલ રસ્તા પર બળપ્રયોગ કરવાને બદલે વાતચીત દ્વારા લાવવાની હોય છે.
તેમણે ઉમેર્યું કે આ પ્રકારની હિંસા લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે અને તેના કારણે સમગ્ર દેશના યુવાનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. દેશનો યુવા વર્ગ આજે સરકાર પાસે જવાબદેહી અને જવાબો માગી રહ્યો છે, તેથી તેમની અવાજને દબાવવાને બદલે સાંભળવામાં આવે તે અત્યંત જરૂરી છે.