
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની સીધી અસર ખેલાડીઓ પર પડશે. અત્યાર સુધી, ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન અને વરિષ્ઠતાના આધારે કરાર મળતા હતા. જોકે, હવે BCCI ‘મેચ માટે ઉપલબ્ધતા’ને પણ એક મહત્ત્વપૂર્ણ માપદંડ બનાવવાનું વિચારી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, બોર્ડ એ જોશે કે કોઈ ખેલાડી કેટલી મેચો રમવા માટે ફિટ અને ઉપલબ્ધ હતો.

તાજેતરના મહિનાઓમાં, ટીમ ઈન્ડિયાના ઘણા મુખ્ય ખેલાડીઓ વારંવાર ઈજાઓનો શિકાર બન્યા છે, જેના કારણે તેઓ મહત્ત્વપૂર્ણ મેચો રમી શક્યા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને બોર્ડ ઈચ્છે છે કે ખેલાડીઓ શક્ય તેટલી વધુ મેચો માટે ફિટ રહે. BCCI હાલમાં આખી સીઝન દરમિયાન ખેલાડીની ફિટનેસ અને ઉપલબ્ધતા પર નજર રાખવા માટે એક ફોર્મ્યૂલા પર ચર્ચા કરી રહ્યું છે. બોર્ડ મર્યાદા નક્કી કર શકે છે કે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખેલાડીએ ઓછામાં ઓછી કેટલી મેચ રમવા માટે ઉપલબ્ધ રહેવું જોઇએ.

શું આ નિયમ અત્યારે લાગુ કરવામાં આવ્યો છે?
‘સ્પોર્ટ્સ તક’ સાથે વાત કરતા, BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ વિચાર હજુ પ્રારંભિક તબક્કામાં છે. હાલમાં ચર્ચાઓ માત્ર બોર્ડની આંતરિક વાતચીત ચાલી રહી છે, એ ચેક કરવામાં આવી રહ્યું છે કે એવા નિયમને લાગૂ કરવા યોગ્ય અને શક્ય હશે કે નહીં. હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, જો આ નિયમને મંજૂરી આપવામાં આવે છે, તો ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે માત્ર સારું પ્રદર્શન કરવું પૂરતું નહીં હોય; આકર્ષક અને કરોડો રૂપિયાના કરાર મેળવવા માટે ટીમ માટે ફિટ રહેવું એ પૂર્વશરત બની જશે.