fbpx

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

Spread the love

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ કરી છે. મૃતકના ભાઈ પ્રભાતની ફરિયાદના આધારે પોલીસે પતિ અને 5 સાસરિયાઓ વિરુદ્ધ દહેજ મૃત્યુ, હુમલો, હેરાનગતિ અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.

FIR મુજબ, મુરાદનગરની રહેવાસી આકૃતિના લગ્ન લગભગ 6 મહિના પહેલા રમેશના પુત્ર ગૌરવ સાથે થયા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, લગ્ન દરમિયાન, તેના સાસરિયાઓએ કારની વધારાની માંગણી કરી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી, આકૃતિ અને ગૌરવે 23 માર્ચ, 2026ના રોજ ગાઝિયાબાદ રજિસ્ટ્રાર ઑફિસમાં કોર્ટ મેરેજ કર્યા.

02

એવું કહેવાય છે કે લગ્નના થોડા સમય પછી, ગૌરવે તેની પત્ની પાસેથી 30 લાખ રૂપિયા અને સ્કોર્પિયો-Nની માંગણી કરવાનું શરૂ કર્યું. જ્યારે તેની માંગણીઓ પુરી ન થઈ, ત્યારે આકૃતિને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારનો દાવો છે કે તેણે ગુપ્ત રીતે તેના માતાપિતાને ફોન કરીને કથિત ત્રાસની જાણ કરી. તેણે તેના સાસરિયાઓ દ્વારા તેના અને તેના પરિવારને ધમકીઓ આપી હોવાનું પણ જણાવ્યું.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આકૃતિએ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેનો પતિ ગૌરવ, સસરા રમેશ, સાસુ સરોજ અને નણંદો તેની સાથે મારપીટ કરી રહ્યા હતા અને તેને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વાતચીત પછી તરત જ ફોન બંધ થઈ ગયો. ત્યારપછી ગૌરવે તેના માતાપિતાને જાણ કરી કે આકૃતિ અગાસી પરથી પડી ગઈ છે અને તેને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે.

પરિવાર હોસ્પિટલ દોડી ગયો, જ્યાં આકૃતિની સારવાર ચાલી રહી હતી. જોકે, 10 સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ પછી, તેના ભાઈ પ્રભાતે મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે, ગૌરવ, તેના પિતા રમેશ, સરોજ, નેહા અને સોની સામે કેસ નોંધવામાં આવ્યો.

પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 80, 85, 115(2), 352 અને દહેજ પ્રતિબંધક કાયદાની કલમ 3/4 હેઠળ કાર્યવાહી કરી છે. આ કેસની તપાસ ACP સુનિલ કુમારની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. પોલીસ હવે ઘટના સાથે સંકળાયેલા તમામ પાસાઓ અને આરોપોની તપાસ કરી રહી છે.

03

પોલીસના જણાવ્યા અનુસાર, એક બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે 12 સપ્ટેમ્બરના રોજ મુરાદનગર વિસ્તારમાં ગૌરવની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, પોલીસનો દાવો છે કે, તેણે લગ્ન પછી દહેજ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને રૂ. 30 લાખ અને સ્કોર્પિયો-Nની માંગણી કરી હોવાનું સ્વીકાર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ગૌરવે તેની પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાની પણ કબૂલાત કરી હતી. જોકે, અગાસી પરથી પડીને આકૃતિના મૃત્યુના સંજોગો અંગે હત્યાના આરોપોની પુષ્ટિ તપાસ પછી જ થશે.

પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા, ઘટનાક્રમ અને અન્ય તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં નામ આપવામાં આવેલા બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસ સતત શોધખોળ કરી રહી છે.

Leave a Reply

error: Content is protected !!