fbpx

ટ્રાફિકમાં ફસાયા જજ: DGP, DC-SSPને કોર્ટમાં બોલાવ્યા અને…

Spread the love

ટ્રાફિક જામમાં ન્યાયધીશ અટવાયા પછી ઝારખંડ હાઈકોર્ટે રાજ્યના DGP, DC અને SSPને સમન્સ પાઠવ્યા હતા. આ કેસની સુઓ મોટુ સંજ્ઞાન લેતા કોર્ટે પોલીસ અધિકારીઓને સખત ઠપકો આપ્યો હતો.

23 ઓગસ્ટના રોજ જસ્ટિસ S.K. દ્વિવેદી CMના નિવાસસ્થાન પાસે BJP યુવા મોરચાની જન આક્રોશ રેલીના કારણે ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા. આ પછી કોર્ટે DGP અનુરાગ ગુપ્તા, DC રાહુલ સિન્હા અને SSP ચંદન સિન્હાને 27મી ઓગસ્ટે સમન્સ પાઠવ્યા હતા.

આ ઘટનાની સુઓ મોટુ સંજ્ઞાન લેતા હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેમજ DGPને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, પોલીસ માત્ર મંત્રીઓ અને ધારાસભ્યોને જ સુરક્ષા આપે છે.

જસ્ટિસ S. K. દ્વિવેદીની કોર્ટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઠપકો આપતાં મૌખિક રીતે કહ્યું કે, જ્યારે હાઈકોર્ટના સીટીંગ જજ CM આવાસની સામે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને તેમને નિર્ધારિત સ્થળે પહોંચવામાં ઘણા કલાકો લાગે છે, ત્યારે સામાન્ય લોકોની શું હાલત થતી હશે તે સમજી શકાય તેમ છે.

ન્યાયાધીશે કહ્યું કે, 23 ઓગસ્ટે હાઈકોર્ટથી પરત ફરતી વખતે ટ્રાફિક જામના કારણે તેમને CMના કાંકે રોડ આવાસની સામે અટકી જવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન ન્યાયાધીશના PSOએ ટ્રાફિક SP સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોબાઈલ પર સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ મળ્યો ન હતો.

આ સમય દરમિયાન તેણે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલનો સંપર્ક કર્યો ત્યાર પછી તેમણે DGP સાથે વાત કરી. DGPની સૂચના પછી જસ્ટિસને જામમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે અડધા કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા હતા.

DGPએ કોર્ટને કહ્યું કે, આવી ઘટના ફરી નહીં બને. તેમણે કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થામાં થોડી ખામી રહી છે ત્યારે કોર્ટે તેમને પૂછ્યું કે, જ્યારે રાંચી શહેરમાં વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો થાય છે, તો પછી હજારો લોકોને રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવે છે?

અહીં તમને જણાવી દઈએ કે, રાંચીમાં BJP યુવા મોરચાએ 23 ઓગસ્ટના રોજ CM આવાસથી લગભગ બે કિલોમીટર દૂર મોરહાબાડી મેદાનમાં રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

error: Content is protected !!