fbpx

સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસના PIને ફટકારી દીધો 25000નો દંડ, જાણો શું હતો મામલો

Spread the love

સુપ્રીમ કોર્ટે ગુજરાતના એક પોલીસ અધિકારીને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસ એવા વ્યક્તિની ધરપકડનો છે, જેને સુપ્રીમ કોર્ટમાંથી ફોજદારી કેસમાં આગોતરા જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે તેને કોર્ટની અવમાનના ગણાવી હતી. પોલીસકર્મીને દોષિત ઠેરવતા પોલીસ અધિકારીને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આદેશ જસ્ટિસ B.R. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની અદાલતે ફટકાર્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટે ન્યાયિક અધિકારી દ્વારા માંગવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કર્યો છે. આ કેસમાં ન્યાયિક અધિકારીને પણ તિરસ્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે 7 ઓગસ્ટે ન્યાયિક અધિકારી અને પોલીસ અધિકારીને તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા હતા. સોમવારે સજાના સમયગાળાની સુનાવણી દરમિયાન ન્યાયિક અધિકારી દીપાબેન સંજયકુમાર ઠાકર અને પોલીસ અધિકારી R.Y. રાવલ કોર્ટમાં હાજર રહ્યા હતા.

ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને નમ્ર બનવા વિનંતી કરી અને કહ્યું કે સત્તાવાળાઓએ ભૂલ માટે માફી માંગી છે. પોલીસ અધિકારી રાવલ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, પોલીસ અધિકારીએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. જ્યારે, ઠાકરના વકીલે કહ્યું કે, ન્યાયિક અધિકારીનો ન્યાયાધીશ તરીકે ઉત્તમ અને નિષ્કલંક રેકોર્ડ છે અને તેમણે પણ બિનશરતી માફી માંગી છે.

ખંડપીઠે કહ્યું કે, રાવલ પર પોલીસ સ્ટેશનમાં લાગેલા CCTV ફૂટેજને ડીલીટ કરી નાખવાનો અને વ્યક્તિને માર મારવાનો પણ આરોપ છે. કોર્ટે કહ્યું, ‘માત્ર તે સમયગાળા માટે જ CCTV ફૂટેજ કેમ ઉપલબ્ધ નથી? તે સ્પષ્ટ છે કે તેણે આવું કર્યું છે.’

ખંડપીઠે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો પરંતુ તેમ છતાં પણ વ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો. આદેશમાં, કોર્ટે કહ્યું કે, અમે હળવાશભર્યો અભિગમ અપનાવવા તૈયાર છીએ અને તેમની (ઠાકરની) માફી સ્વીકારી લીધી છે. જોકે, સુપ્રીમ કોર્ટે રાવલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

ગયા વર્ષે 8 ડિસેમ્બરે તુષાર રજનીકાંત શાહને આગોતરા જામીન મળ્યા હતા. 7 ઓગસ્ટના રોજ, બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તેના આદેશનો અમલ થયા પછી પણ, ન્યાયિક અધિકારીએ તપાસ અધિકારી (IO)ની અરજી પર વિચાર કર્યો અને આરોપીને પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો.

સુરતના વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર રાવલની ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટે વિગતવાર ચર્ચા કરી હતી. કોર્ટે કહ્યું કે, આરોપીને મળેલી વચગાળાની સુરક્ષા દરમિયાન પોલીસ કસ્ટડી માટેની અરજી આ કોર્ટના આદેશની સ્પષ્ટ અવગણના છે અને તે તિરસ્કાર સમાન છે.

error: Content is protected !!