fbpx

BCCIની મીટિંગમાં રોહિત શર્માએ જણાવી દીધું ક્યારે કેપ્ટનશીપ છોડશે

Spread the love

ભારતીય ક્રિકેટમાં હાલમાં કંઈ ઠીક નથી ચાલતું. ટીમને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. ત્યાર પછી કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ ચાહકોના નિશાના પર છે. ખાસ કરીને રોહિતના ટીમમાં સ્થાન અને તેની કેપ્ટનશીપ અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન, તેની કેપ્ટનશીપ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે.

૧૧ જાન્યુઆરીના રોજ મુંબઈમાં ભારતીય ટીમના પ્રદર્શન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. એક મીડિયા ચેનલના અહેવાલ મુજબ, સમીક્ષા બેઠકમાં, BCCI અધિકારીઓએ કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને પ્રશ્નો પૂછ્યા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સમય દરમિયાન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું હતું કે, આગામી કેપ્ટન મળી ગયા પછી તે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેશે.

રિપોર્ટમાં એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, મીટિંગ દરમિયાન રોહિતે કહ્યું કે, તે થોડા વધુ મહિનાઓ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેવા માંગે છે અને ત્યાં સુધી બોર્ડે નવા કેપ્ટનની શોધ ચાલુ રાખવી જોઈએ. રોહિતે એમ પણ કહ્યું કે, બોર્ડ જેને પણ નવા કેપ્ટન તરીકે પસંદ કરશે તેને તે સંપૂર્ણ સમર્થન આપશે. બેઠક દરમિયાન જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવા અંગે પણ ચર્ચા થઈ. જોકે, એક સભ્યએ કહ્યું કે બુમરાહ હાલમાં ઘાયલ છે, તેથી તેના વર્કલોડનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ રહેશે. જેના પર અન્ય અધિકારીઓએ કહ્યું કે, આ અંગે પછી ચર્ચા કરવામાં આવશે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બેઠક દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્માના ફોર્મ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીને મેદાન પર વધારે મહેનત કરવાનું કહેવામાં આવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમના પ્રદર્શનના આધારે તેમની કારકિર્દીનો નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, કોઈ ખેલાડી ઘરેલુ ક્રિકેટ ત્યારે નહીં રમે, જ્યારે ફિઝિયોની રિપોર્ટની સાથે સાથે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર પરવાનગી ન આપે. જો આ લોકો કહે કે આ ખેલાડી કામના ભારણને કારણે રમવા માંગતો નથી, તો જ તે ખેલાડીને છૂટ મળશે.

આ બેઠકમાં મુખ્યત્વે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની નિષ્ફળતા વિશે ઘણી ચર્ચા થઈ. આ ઉપરાંત ટીમમાં કયા સુધારા કરી શકાય છે તે અંગે પણ ચર્ચા થઈ. અહીં તમને જણાવી દઈએ કે, બોર્ડની આ સમીક્ષા બેઠકમાં BCCI પ્રમુખ રોજર બિન્ની, ઉપપ્રમુખ રાજીવ શુક્લા, BCCI સચિવ દેવજીત સૈકિયા, કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર હાજર રહ્યા હતા.

error: Content is protected !!