fbpx

કર્ણાટક કોંગ્રેસમાં ‘કુછ તો ગડબડ હૈ’, DyCMએ મંત્રીને જાહેરમાં ઠપકો આપ્યો!

Spread the love

કર્ણાટક કોંગ્રેસમાં હાલના દિવસોમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. અનેક વખત કોંગ્રેસના તારણહાર તરીકે જોવામાં આવતા DyCM DK શિવકુમાર પણ રહી રહીને ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સત્તાની વહેંચણી અંગે વિવિધ ચર્ચાઓએ પણ ત્યાંના રાજકારણને ગરમ કરી દીધું છે.

DyCM DK શિવકુમારને ત્યાંના સ્થાનિક કોંગ્રેસના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ બુધવારે તેમણે પોતાના જ મંત્રીને ઠપકો આપ્યો હતો. તેમણે મંત્રી સતીશ જારકીહોલીને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ જાહેરમાં ઠપકો આપ્યો છે.

હકીકતમાં, કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી સતીશ જારકીહોલીએ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીને પૂર્ણ-સમયના નેતાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મુદ્દા પર નીચલા સ્તરે તો ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ આ મામલો ઉપરના સ્તરેથી આવવો જોઈતો હતો. જોકે, જ્યારે પાર્ટી હાઈકમાન્ડે તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી, ત્યારે તેમણે તે નિવેદન પાછું ખેંચી લીધું અને દાવો કર્યો કે, મીડિયાએ તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કર્યા છે.

આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા DyCM DK શિવકુમારે કહ્યું, શું તમે મીડિયા પાસેથી આ પોસ્ટ મેળવી શકો છો? આ કોઈ દુકાનમાંથી મળતું નથી. તે આપણે કરેલા કાર્યોનું પરિણામ હોય છે. તેમણે કહ્યું કે, આવા નિવેદનો જાહેરમાં આપવાને બદલે પક્ષની અંદર યોગ્ય માધ્યમથી આપવા જોઈતા હતા. એટલું જ નહીં, કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ મંજુનાથ ભંડારીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી અને વરિષ્ઠ નેતાઓને આવા નિવેદનોથી બચવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે, જે નેતાઓ હાઈકમાન્ડના આદેશોનું ઉલ્લંઘન કરે છે, તેમને કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિકો ગણવામાં આવશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ફક્ત પાર્ટી નેતૃત્વ, જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે, તેઓ જ આવા નિર્ણયો લેશે, અને કોઈપણ મંત્રીએ આ અંગે નિવેદન આપવું જોઈએ નહીં. આ ઘટનાક્રમે ફરી એકવાર કર્ણાટક કોંગ્રેસમાં વધતા આંતરિક મતભેદો અને વિવાદોને સપાટી પર લાવ્યા છે. જેના કારણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીની એકતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

error: Content is protected !!