નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે 9-26 વાગ્યે એવી ભાગદોડ મચી કે 18 લોકોએ જીવ ગુમાવવા પડ્યા, જેમાં 14 મહિલા, 3 બાળકો અને 1 પુરુષ હોવાનું જાણવા મળ્યું છે.પ્રયાગરાજ મહાકુંભ જવા માટે નવી દિલ્હી સ્ટેશને હજારો લોકોની ભીડ ઉમટી હતી.
નવી દિલ્હી સ્ટેશન પર શનિવારે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન, ભુવનેશ્વર રાજધાની અને સ્વંતંત્ર સેનાની એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર આવવાની હતી. આ ત્રણેય ટ્રેન પ્રયાગરાજ જવાની હતી. ભુવનેશ્વર અને સ્વતંત્ર સેનાની એ બે ટ્રેન મોડી ચાલી રહી હતી. જ્યારે પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર આવી ત્યારે સ્ટેશન પર એનાઉસમેન્ટ કરવામાં આવ્યું કે ભુવનેશ્વર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 16 પર આવશે. પ્લેટફોર્મ નંબર 14 પર ઉભેલા લોકો સામાન અને બાળકો સાથે ઓવરબ્રીજ પરથી ભાગ્યા હતા. એટલી ભીડ હતી કે કેટલાંક લોકો પડી ગયા અને ચગદાઇ ગયા.