

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે આપણે સૌએ આપણી દીકરીઓ અને બહેનોને મજબૂત અને સક્ષમ બનાવવામાં યોગદાન આપવું જોઈએ. તેમણે લોકોને મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સલામતી પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા નાના પ્રયત્નો તેમને સશક્ત બનાવશે. તેમણે મહિલાઓને તેમના શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે સતત પ્રયત્નો કરવાની સલાહ પણ આપી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી પરંપરામાં સદીઓથી સંતોએ લોકોને માર્ગ દેખાડ્યો છે. તેઓએ સમકાલીન સમાજમાં પ્રચલિત સામાજિક અનિષ્ટો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓએ જાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામે પણ અવાજ ઉઠાવ્યો છે. પછી તે ગુરુ નાનક હોય, સંત રવિદાસ હોય, સંત કબીરદાસ હોય, મીરાંબાઈ હોય, સંત તુકારામ હોય તમામે લોકોને તેમના ઉપદેશો દ્વારા સાચા રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. ભારતીય સમાજમાં તેમના યોગદાનથી તેમને સન્માનજનક સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, સમકાલીન આધ્યાત્મિક નેતાઓ આત્મનિર્ભર, સંવાદી અને પર્યાવરણને અનુકૂળ ભારતનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.