
34.jpg?w=1110&ssl=1)
આપણા ગુજરાતનું રાજકીય ચિત્ર ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ હંમેશાં અલગ રહ્યું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દાયકાઓથી રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવામાં સતત સંઘર્ષ કરી રહી છે. આ સ્થિતિનું મૂળ કારણ શું છે? શું કોંગ્રેસ ખરેખર ગુજરાતના નાગરિકોની લાગણીઓ અને અપેક્ષાઓને સમજવામાં નિષ્ફળ રહી છે કે પછી ભાજપની મજબૂત સંગઠનાત્મક રણનીતિ અને નેતૃત્વએ કોંગ્રેસને પાછળ ધકેલી દીધી છે? આ બંને પક્ષોની વચ્ચેની આ રાજકીય હોડ સમજવા માટે આપણે થોડું ઊંડાણમાં જવું પડશે.
ભાજપનું ગુજરાતમાં વર્ચસ્વ સમજીએ:
ગુજરાતમાં ભાજપની સફળતાનું એક મુખ્ય કારણ તેની મજબૂત સંગઠનાત્મક રચના છે. પાર્ટીના કાર્યકર્તાઓ ગામડાંઓથી લઈને શહેરો સુધી ઘરે ઘરે પહોંચે છે અને નાગરિકો સાથે સીધો સંપર્ક સાધે છે. આ સંપર્કની નીતિ ભાજપને જનતાની નાડી પકડવામાં મદદ કરે છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસનો એક નવો યુગ જોયો જેનો શ્રેય ઘણા લોકો ભાજપની નીતિઓ અને તેના સમર્પિત કાર્યકર્તાઓને આપે છે. નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતને “વાઇબ્રન્ટ ગુજરાત”નું બિરુદ અપાવ્યું qજેની અસર આજે પણ જોવા મળે છે. આજના યુવા ગુજરાતીઓ જેઓ નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ઉછર્યા છે તેમના માટે વિકાસ અને પ્રગતિ એ ભાજપની બની ગઈ છે. ભાજપે આ અપેક્ષાઓને પૂર્ણ કરવામાં ઘણી હદે સફળતા મેળવી છે જેનું પરિણામ ચૂંટણીઓમાં તેની અવિરત જીતમાં જણાય છે.
આ ઉપરાંત ભાજપ સરકારે સામાજિક કલ્યાણની યોજનાઓને અમલમાં મૂકીને ગુજરાતના નાગરિકોના જીવનમાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો છે. ગરીબી નિવારણ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે રાજ્ય સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સરકારની યોજનાઓએ પણ ગુજરાતને વધારાનો ટેકો પૂરો પાડ્યો છે. આ બધું જોઈને એવું લાગે છે કે ભાજપે ગુજરાતની જનતાની લાગણીઓ અને જરૂરિયાતોને સમજીને તેના હિસાબે પોતાની રણનીતિ ઘડી છે.

ગુજરાત કોંગ્રેસની નિષ્ફળતાના કારણો:
બીજી તરફ કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પોતાનું જૂનું ગૌરવ પાછું મેળવવામાં નિષ્ફળ રહી છે. એક સમયે ગુજરાતમાં મજબૂત પકડ ધરાવતી આ પાર્ટી આજે નેતૃત્વના અભાવ અને સ્પષ્ટ વિઝનના અભાવથી પીડાઈ રહી છે. ગુજરાતના યુવાઓને કોંગ્રેસની નીતિઓ અને કાર્યપદ્ધતિ વિશે ખાસ જાણકારી નથી કે ન તો પાર્ટીએ તેમની સાથે સંવાદ સાધવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સંગઠનાત્મક રચના નબળી રહી છે અને તેના કાર્યકર્તાઓ જનતા સુધી પહોંચવામાં પાછળ રહી ગયા છે.
કોંગ્રેસની એક મોટી નબળાઈ એ પણ છે કે તે ગુજરાતમાં એવું કોઈ નેતૃત્વ ઊભું કરી શકી નથી જે નાગરિકોનો વિશ્વાસ જીતી શકે. નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, અમિતભાઈ શાહ જેવા પ્રભાવશાળી નેતાની સામે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ચહેરો નથી જે ગુજરાતની જનતાને પોતાની તરફ આકર્ષી શકે. આ ઉપરાંત પાર્ટીની નીતિઓ અને ચૂંટણી ઢંઢેરાઓ ઘણીવાર ગુજરાતની સ્થાનિક જરૂરિયાતો સાથે તાલમેલમાં નથી જણાતા. પરિણામે ગુજરાતના લોકો કોંગ્રેસને એક એવા પક્ષ તરીકે જુએ છે જે તેમની લાગણીઓ અને અપેક્ષાઓથી દૂર છે.

ભવિષ્યની શક્યતાઓ સમજીએ:
આ સંજોગોમાં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું સ્થાન પાછું મેળવી શકશે? આનો જવાબ આપવો સરળ નથી. જો કોંગ્રેસે ગુજરાતમાં પોતાની સ્થિતિ સુધારવી હશે તો તેને સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન ઊભું કરવું પડશે અને એવા નેતાઓને આગળ લાવવા પડશે જે ગુજરાતની જનતા સાથે સીધો સંબંધ બાંધી શકે. યુવાઓને આકર્ષવા માટે પાર્ટીએ વિકાસલક્ષી એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને ભાજપની સફળતાઓનો વિકલ્પ રજૂ કરવો પડશે.
બીજી તરફ ભાજપ માટે પણ આગળનો રસ્તો સરળ નથી. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી ગુજરાતમાં નવા નેતૃત્વની કસોટી થઈ રહી છે. રાજ્યની જનતાની વધતી જતી અપેક્ષાઓને પૂરી કરવી અને વિશ્વાસ જાળવી રાખવો એ ભાજપ માટે પડકાર છે. જો ભાજપ આ પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહેશે તો કોંગ્રેસને તક મળી શકે છે પરંતુ તે માટે કોંગ્રેસે પોતાની રણનીતિમાં મૂળભૂત ફેરફારો કરવા પડશે.

તારણ રૂપે…
ગુજરાતનું રાજકીય ભવિષ્ય ઘણી હદે બંને પક્ષોની કામગીરી પર નિર્ભર કરે છે. ભાજપે પોતાની મજબૂત સંગઠનાત્મક રચના અને વિકાસના એજન્ડા દ્વારા ગુજરાતની જનતાનો વિશ્વાસ જીત્યો છે જ્યારે કોંગ્રેસ આ દિશામાં પાછળ રહી ગઈ છે. જો કે રાજકારણમાં કશું પણ કાયમી નથી. ગુજરાતના નાગરિકોની લાગણીઓ અને અપેક્ષાઓને સમજીને જે પક્ષ તેના હિસાબે પોતાની રણનીતિ ઘડશે તે જ આગળ વધશે. આખરે નિર્ણયની ચાવી ગુજરાતની પ્રજાના હાથમાંજ છે!