

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ સત્તાવાર રીતે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી છે, અને તેમનું નામની મંજૂરી માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલી દીધું છે. આ ભલામણથી, ન્યાયાધીશ ગવઇ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બનશે એ નક્કી થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમનો કાર્યકાળ 23 નવેમ્બર, 2025 સુધી એટલે કે લગભગ 6 મહિના સુધી રહેશે.
કોણ છે જસ્ટિસ બી.આર. ગવઈ?
જસ્ટિસ ગવઈનો જન્મ 24 નવેમ્બર, 1960 ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમના પિતા આર.એસ. ગવઈ એક પ્રખ્યાત રાજનેતા હતા, જે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના નેતા, સાંસદ તેમજ બિહાર અને સિક્કિમ અને કેરળના રાજ્યપાલ હતા.

જો બી.આ.ર ગવઇના શિક્ષણ અને કરિયરની વાત કરીએ તો જસ્ટિસ ગવઈએ 16 માર્ચ, 1985ના રોજ વકીલ તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. શરૂઆતમાં તેમણે પૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ રાજા એસ. ભોંસલે સાથે કામ કર્યું. તેમણે વર્ષ 1987 અને 1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં અને પછી નાગપુર બેન્ચમાં સંવૈધાનિક અને પ્રશાસનિક કાયદાના મામલાઓમાં કામ કર્યું.
તેમની મુખ્ય ભૂમિકાઓની વાત કરીએ તો તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના સ્ટેન્ડિંગ કાઉન્સિલમાં રહ્યા. 1992-93 સુધી તેઓ આસિસ્ટન્ટ ગવરમેન્ટ પ્લેડર અને પબ્લિક પ્રોસિક્યૂટર પણ રહ્યા. વર્ષ 2000માં ગવરમેન્ટ પ્લેડર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

તેમના ન્યાયિક કરિયરની વાત કરીએ તો 14 નવેમ્બર, 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 12 નવેમ્બર, 2005ના રોજ સ્થાયી જજ બન્યા. 16 વર્ષ સુધી મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજીની બેન્ચમાં કામ કર્યા બાદ, 24 મે, 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.
તેમની ઉપલબ્ધિઓની પર નજર કરીએ તો જસ્ટિસ ગવઈ સુપ્રીમ કોર્ટમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાયમાંથી સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામનારા પહેલા જજ છે, તેઓ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણન 2010માં રિટાયર થયા બાદ આવ્યા. બાલકૃષ્ણન બાદ તેઓ બીજા દલિત CJI હશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની નિમણૂકમાં તેમની વરિષ્ઠતા, ઈમાનદારી, યોગ્યતા અને સમુદાયના પ્રતિનિધિત્વને મહત્ત્વ આપ્યું છે.