fbpx

રાજનીતિમાં મોટાભાગના નેતાઓ દેશ નહીં, પોતાનું ભવિષ્ય બનાવે છે

Spread the love
રાજનીતિમાં મોટાભાગના નેતાઓ દેશ નહીં, પોતાનું ભવિષ્ય બનાવે છે

રાજનીતિમાં સ્વાર્થ અને સમર્પણ વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે. રાજનીતિ એક એવું ક્ષેત્ર છે જે સમાજના હિત માટે શક્તિ અને જવાબદારીનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ મોટેભાગે તે સ્વાર્થ અને વ્યક્તિગત લાભનું માધ્યમ બની જાય છે. વિશ્વભરમાં અને ભારતમાં પણ રાજનીતિમાં એવા નેતાઓની સંખ્યા મહત્તમ છે જેઓ દેશ કે સમાજના ભવિષ્યને બદલે પોતાના રાજકીય અને વ્યક્તિગત ભવિષ્યને પ્રાથમિકતા આપે છે. આ વાસ્તવિકતા રાજનીતિ પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટાડે છે. જોકે ઈતિહાસ અને વર્તમાનમાં એવા રાજનેતાઓ પણ છે જેમણે પોતાની જાતને દેશ અને સમાજના હિત માટે સમર્પિત કરી છે. આવા નેતાઓને ઓળખવા અને તેમને સમર્થન આપવું એ આપણી જવાબદારી છે.

Photo-(2)-copy

રાજનીતિમાં સ્વાર્થનો પ્રભાવ આજનો નથી. વૈશ્વિક સ્તરે ઘણા નેતાઓએ સત્તાનો ઉપયોગ વ્યક્તિગત લાભ, શક્તિના દુરુપયોગ તથા આર્થિક હિતો માટે કર્યો છે. ભારતમાં પણ આઝાદી પછીના દાયકાઓમાં રાજકીય ભ્રષ્ટાચાર, હીન કક્ષાની રાજનીતિ અને જાતિ ધર્મ આધારિત રાજકારણે લોકોના મનમાં અનેકે પ્રશ્નો, અવિશ્વાસ અને નિરાશા જન્માવી છે. આવા સંજોગોમાં જ્યારે જૂજ નેતાઓ દેશના વિકાસ અને સમાજના ઉત્થાન માટે કામ કરે છે ત્યારે તેમનું યોગદાન વધુ મહત્ત્વનું બની જાય છે.

વર્તમાન ભારતીય રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઘણા લોકો દેશહિતને પ્રાથમિકતા આપનારા નેતાઓ તરીકે જુએ છે. તેમની નીતિઓ, નિર્ણયો અને કાર્યશૈલીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહે  છે. આ નેતાઓની પ્રશંસા અને ટીકા બંને થાય છે જે રાજનીતિની આટીઘૂટી દર્શાવે છે. દરેક નેતાની નીતિઓ અને નિર્ણયોનું નિષ્પક્ષ મૂલ્યાંકન જરૂરી છે.

01

રાજનીતિમાં સારા નેતાઓને ઓળખવા માટે નાગરિકોએ સજાગ અને જાગૃત રહેવું પડે છે. નેતાની નીતિઓ, તેમનું વિઝન, પારદર્શિતા અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જેવા પરિબળોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. માત્ર લોકપ્રિયતા કે ભાષણોના આધારે નહીં પરંતુ તેમના કાર્યો અને પરિણામોના આધારે નેતાઓને ચૂંટવા જોઈએ અને મહત્ત્વ આપવું જોઈએ. નાગરિકો તરીકે આપણે માત્ર ટીકા કરવામાં જ નહીં પરંતુ સકારાત્મક રાજકારણને પ્રોત્સાહન આપવામાં પણ ભાગ લેવો જોઈએ.

આજે રાજનીતિમાં સ્વાર્થ અને સમર્પણ વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ છે. આ સંઘર્ષમાં સમર્પિત નેતાઓને ટેકો આપવો અને રાજકીય પઘટનાક્રમોમાં સક્રિય ભાગીદારી એ દેશના ભવિષ્યને મજબૂત કરવાનો માર્ગ છે. આપણી જાગૃતિ અને સમજદારી જ રાજનીતિને વધુ પારદર્શી અને લોકકેન્દ્રી બનાવી શકે છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

error: Content is protected !!