fbpx

પૂર્વા ચૌધરીના OBC પ્રમાણપત્ર વિવાદ પર RAS અધિકારી પિતાએ નિયમો જણાવીને સ્પષ્ટતા કરી

Spread the love
પૂર્વા ચૌધરીના OBC પ્રમાણપત્ર વિવાદ પર RAS અધિકારી પિતાએ નિયમો જણાવીને સ્પષ્ટતા કરી

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી પરીક્ષાઓમાંની એક છે. હનુમાનગઢ જિલ્લાના સંગરિયા વિધાનસભા મતવિસ્તારના બોલાવલી ગામની રહેવાસી પૂર્વા ચૌધરીએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024માં 533મો ક્રમ મેળવીને પોતાના પરિવાર અને પ્રદેશનું નામ રોશન કર્યું છે. જોકે, તેમની આ સિદ્ધિએ સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કર્યો છે. કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે કે, પૂર્વાએ OBC નોન-ક્રીમી લેયર (NCL) પ્રમાણપત્રનો દુરુપયોગ કર્યો હતો, જ્યારે તેના પિતા ઓમપ્રકાશ સહારણ રાજસ્થાન વહીવટી સેવા (RAS) અધિકારી છે.

પૂર્વા ચૌધરીએ OBC શ્રેણીમાંથી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી છે. લેખિત પરીક્ષામાં 771 ગુણ અને ઇન્ટરવ્યૂમાં 165 ગુણ એટલે કે કુલ 936 ગુણના આધારે તેમને મેરિટ યાદીમાં 533મા ક્રમે રાખવામાં આવ્યા છે. પૂર્વા ચૌધરીના પિતા ઓમપ્રકાશ સહારણ એક RAS અધિકારી છે અને હાલમાં કોટપુટલીમાં અધિક જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત છે. પૂર્વાના પિતાએ UPSCમાં OBC પ્રમાણપત્રના દુરુપયોગના આરોપો પર સ્પષ્ટતા આપી છે અને નિયમોનો હવાલો આપીને આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

UPSC Poorva Chaudhary

પૂર્વાની સફળતાના સમાચાર ફેલાતાં જ સોશિયલ મીડિયા પર તેના OBC-NCL પ્રમાણપત્ર અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, તેના પિતા ઓમપ્રકાશ સહારન એક વરિષ્ઠ RAS અધિકારી છે, તેથી તેમની પુત્રી માટે OBC-NCLનો લાભ લેવો ખોટું છે. સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વા પાસે મોંઘી હેન્ડબેગ અને કાર છે, જેના આધારે તેની આર્થિક સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. લોકોનો આરોપ છે કે ઊંચી પહોંચ ધરાવતા ધરાવતા લોકો આવી યુક્તિઓ અપનાવીને ગરીબોના અધિકારો છીનવી લે છે.

પૂર્વાના પિતા ઓમપ્રકાશ સહરણએ આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સોશિયલ મીડિયા પર લગાવવામાં આવી રહેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. નિયમોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, OBC-NCL પ્રમાણપત્ર માટેના નિયમમાં જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમર પહેલાં વર્ગ-1 (ગ્રુપ A) અથવા RAS જેવી પોસ્ટ પર સીધી ભરતી થાય છે, તો તેનો પરિવાર OBC-NCL લાભોથી વંચિત થઇ જાય છે. ઓમપ્રકાશ સહારણએ કહ્યું કે તેઓ 44 વર્ષની ઉંમરે RAS બન્યા, તેથી તેમની પુત્રી પૂર્વાને OBC-NCL લાભો મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે.

UPSC Poorva Chaudhary

તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમર પહેલા વર્ગ-1માં ભરતી થાય છે અથવા પ્રમોશન મેળવે છે, તો તેમને આ લાભ મળતો નથી. તેમની સાથે આવું નથી. ઓમપ્રકાશે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓને ટોળાની માનસિકતા ગણાવી અને કહ્યું કે લોકો પાસે આ વિષય પર સંપૂર્ણ માહિતી નથી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, દિલ્હીમાં એક લોબી છે જે આવી અફવાઓ ફેલાવવાનું કામ કરે છે. ઉપરાંત, કેટલાક લોકો તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને વ્યૂઝ વધારવા માટે આવી વાતો ફેલાવી રહ્યા છે.

OBC-NCL પ્રમાણપત્ર માટેના નિયમો મુજબ, ઉમેદવારના માતાપિતાની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. ઉપરાંત, જો માતાપિતા 40 વર્ષની ઉંમર પહેલાં સીધી ભરતી અથવા પ્રમોશન દ્વારા વર્ગ-1 (ગ્રુપ A) અથવા વર્ગ-2 (ગ્રુપ B) સુધી પહોંચ્યા હોય, તો ઉમેદવારને OBC-NCL લાભો મળતા નથી. ઓમપ્રકાશ સહારણ કહે છે કે, તેઓ આ નિયમોના દાયરામાં આવતા નથી, તેથી તેમની પુત્રીએ કંઈ ખોટું કર્યું નથી.

UPSC Poorva Chaudhary

આ બાબતથી ફરી એકવાર UPSC પસંદગી પ્રક્રિયા અને અનામત નિયમો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં ઉમેદવારો પર OBC, EWS અથવા PwBD ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમાં સૌથી વધુ ચર્ચિત કેસ 2022 બેચના ભૂતપૂર્વ તાલીમાર્થી IAS પૂજા ખેડકરનો છે. તેમના પર OBC-NCL અને PwBD ક્વોટાનો દુરુપયોગ કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, આવા વિવાદો ટાળવા માટે UPSCને તેની ચકાસણી પ્રક્રિયા વધુ કડક બનાવવાની જરૂર છે. પૂર્વા ચૌધરી અને તેના પરિવારનું કહેવું છે કે, તેઓ નિયમો મુજબ આગળ વધ્યા છે અને તેમની પુત્રીની સફળતા તેમની મહેનતનું પરિણામ છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાએ આ મુદ્દાને વધારે હવા આપી છે.

error: Content is protected !!