
-copy22.jpg?w=1110&ssl=1)
પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો દયા, યુદ્ધ અને વ્યૂહરચના પર ઝોલા ખાતા રહે છે. ભારત-પાકિસ્તાન સંબંધોનો ઇતિહાસ દગો, આતંકવાદ અને અવિશ્વાસની ગાથાઓથી ભરેલો છે. પાકિસ્તાન કે જેનું અસ્તિત્વ ભારતના વિભાજનના ઘાવ પર રચાયું તેણે હંમેશા ભારત વિરુદ્ધ ખંડનાત્મક વિચારધારાને અપનાવી છે. આજે જ્યારે પાકિસ્તાન આર્થિક રીતે નબળું, રાજકીય રીતે અસ્થિર અને સામાજિક રીતે વિખેરાયેલું દેખાય છે ત્યારે ભારત સામે એક મહત્વનો પ્રશ્ન ઊભો છે: આપણે દયા રાખીએ, યુદ્ધનો માર્ગ અપનાવીએ કે વ્યૂહાત્મક રીતે આ સમસ્યાને કાયમી રીતે હલ કરીએ?
પાકિસ્તાને ભારતના નાગરિકો પર આતંકવાદનો જે કહેર ઠાલવ્યો છે તે કોઈ ભૂલી શકે તેમ નથી. મુંબઈના 26/11 હુમલાથી લઈને પુલવામા સુધી પાકિસ્તાને નિર્દોષ ભારતીયોના લોહીથી પોતાની નીતિઓને સીંચી છે. આવા દેશ પ્રત્યે દયા બતાવવી એ નૈતિક રીતે શુદ્ધ લાગે પરંતુ વ્યૂહાત્મક રીતે ખોટું છે. બુદ્ધની શાંતિનો સંદેશ આપણને કરુણા શીખવે છે પરંતુ જ્યારે સામેનો દેશ વારંવાર વિશ્વાસઘાત કરે ત્યારે શાંતિનો માર્ગ નબળાઈ ગણાઈ શકે.

આપણને યુદ્ધનો વિકલ્પ ભાવનાત્મક સારો લાગે પરંતુ તેની કિંમત ભારે છે. યુદ્ધ ફક્ત સૈન્ય અને અર્થવ્યવસ્થાને જ નહીં પણ સમાજના મનોવિજ્ઞાનને પણ ઊંડે સુધી અસર કરે છે. ભારતે 1971માં પાકિસ્તાનને હરાવ્યું હતું પરંતુ તેનાથી પાકિસ્તાનની આતંકવાદી માનસિકતા ખતમ થઈ નહોતી. આજે પાકિસ્તાનની આર્થિક નબળાઈ અને આંતરિક અસ્થિરતા યુદ્ધ વિના જ તેને ઘૂંટણે લાવી શકે છે. આવી સ્થિતિમાં ભારત યુદ્ધને બદલે વ્યૂહાત્મક દબાણનો માર્ગ પણ અપનાવી શકે છે.
ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીએ બતાવ્યું છે કે ભારત પાસે આતંકવાદનો જવાબ આપવાની ક્ષમતા છે. પરંતુ આવી કાર્યવાહીઓ ફક્ત લક્ષણોની સારવાર કરે છે મૂળ સમસ્યાનું નિરાકરણ નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને પાછું લેવાની વાત ભાવનાત્મક રીતે સારી છે પરંતુ તેના માટે આંતરરાષ્ટ્રીય સમર્થન, આર્થિક તૈયારી અને સૈન્ય વ્યૂહરચનાની જરૂર છે. PoK પર દાવો કરવામાં વિલંબ એ ભારતની નબળાઈ નથી પરંતુ વ્યૂહાત્મક ધીરજ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એકલું પાડવું, તેની આર્થિક નબળાઈઓનો લાભ લેવો અને આતંકવાદના મૂળ સુધી પહોંચવું એ વધુ અસરકારક માર્ગ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓએ ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન અપાવ્યું છે. તેમની વિદેશ નીતિએ પાકિસ્તાનને ઘણી હદે એકલું પાડ્યું છે અને સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહીઓએ ભારતની નિર્ણયશક્તિ દર્શાવી છે. પરંતુ શું આ પૂરતું છે? ભારતે હવે ફક્ત પ્રતિક્રિયાત્મક નીતિઓ પર આધાર રાખવાને બદલે સક્રિય રીતે પાકિસ્તાનની આતંકવાદી મશીનરીને નષ્ટ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. આ માટે આર્થિક દબાણ, ગુપ્તચર માહિતીનો ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય સમર્થનનો સમન્વય જરૂરી છે.
-copy21.jpg?w=1110&ssl=1)
એક મત મુજબ ભારતે ન તો દયામાં ડૂબી જવું જોઈએ ન તો યુદ્ધના ઉન્માદમાં ખેંચાઈ જવું જોઈએ. બુદ્ધની શાંતિ અને ચાણક્યની ચતુરાઈનું સંયોજન જ ભારતને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આપી શકે. પાકિસ્તાનની નબળાઈઓનો લાભ લઈ ભારતે વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ જેથી ન તો આતંકવાદ ફરી ઉઠે ન તો નિર્દોષોનું રક્ત વહે. આવનારો સમય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વક્ષમતા અને ભારતની વ્યૂહરચનાની કસોટી કરશે અને આપણે આશા રાખીએ કે ભારત આ પડકારનો સામનો શાણપણ અને શક્તિથી કરશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)