

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દેખાઈ રહી છે. તેના પગલે આજે, 15 મેના રોજ રાજ્યના પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઇ શકે છે.

હવામાન વિભાગે 14 મેના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી, જ્યારે 15 મેના રોજ હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે. 16 અને 17 મેના રોજ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

તાપમાન અંગે રામાશ્રય યાદવે જણાવ્યું કે 14 થી 17 મે દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ કોઈ ખાસ ફેરફાર થવાનો અંદાજ નથી. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન ફુંકાઈ રહ્યો છે. આ હવામાની હાલતનું મુખ્ય કારણ ગુજરાત પર બનેલું સાઈક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે.