

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સરકારે આ ટીમમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણને પણ સામેલ કર્યા હતા. જોકે, આ દરમિયાન એવા સમાચાર આવ્યા કે TMC તેમને મોકલવા તૈયાર નથી અને આ કારણે પઠાણે પણ આ ટીમ સાથે જવાનો ઇનકાર કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના આ પગલા પર ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. જોકે, હવે પાર્ટીના પ્રમુખ મમતા બેનર્જીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

મમતાએ સ્પષ્ટ કર્યું કે, ‘તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) આ મામલે પૂરી રીતે કેન્દ્ર સરકાર સાથે ઉભી છે, પરંતુ આ પ્રતિનિધિમંડળમાં કોણ જશે તે નિર્ણય તેમની પાર્ટી કરશે, ભાજપ નહીં. મમતા બેનર્જીએ કહ્યું કે, અમારી પાર્ટી કેન્દ્ર સરકાર સાથે છે. જો કોઈ પ્રતિનિધિમંડળ જઈ રહ્યું છે તો તે એક સારું પગલું છે, પરંતુ તેમાં અમારી પાર્ટીમાંથી કોણ જશે તે અમે નક્કી કરીશું. એ ભાજપ નહીં નક્કી કરી શકે.
તો, મમતા બેનર્જીના ભત્રીજા અને TMCના મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ સ્પષ્ટતા કરી કે તેમની પાર્ટીએ આ ઓલ પાર્ટી ડેલિગેશનનો બૉયકોટ કર્યો નથી. હું રેકોર્ડ પર એ વાત રેકોર્ડ રાખવા માગુ છું કે અમે કોઈ બૉયકોટ કર્યો નથી. અમે એકમાત્ર પાર્ટી છીએ, જેણે આ મુદ્દાને પોલિટિકલ બનાવ્યો નથી. જ્યાં સુધી દેશની વાત આવે છે, જો કોઈ રાજનીતિ કરી રહ્યું છે તો અમે તેની નિંદા કરીએ છીએ.

આ સાથે, તેમણે કેન્દ્રને યાદ અપાવ્યું કે, વિદેશી બાબતો જેવા મુદ્દાઓ પર, તૃણમૂલ કોંગ્રેસ હંમેશાં રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપે છે અને સરકારનું સમર્થન કરે છે. સરકારે આ અગાઉ જાહેરાત કરી હતી કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય દેશો સહિત મુખ્ય દેશોમાં 7 બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળો મોકલશે, જેથી પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનને બેનકાબ કરી શકાય અને ભારત માટે કૂટનીતિક સમર્થન એકત્ર કરી શકાય. આ 7 પ્રતિનિધિમંડળમાં શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા (BJP), સંજય કુમાર ઝા (JDU), કનિમોઝી (DMK), સુપ્રિયા સૂલે (NCP-SP), અને શ્રીકાંત શિંદે (શિવસેના) સામેલ છે.