
બાંગ્લાદેશમાં ઘણી બધી બાબતો સારી રીતે ચાલી રહી નથી. સેના અને સરકાર વચ્ચે તીવ્ર તણાવની અફવાઓ ફેલાયેલી છે. આ બધા સમાચાર અને અફવાઓ વચ્ચે, સેનાએ પહેલીવાર ખુલીને વાત કરી છે. સોમવારે, સેનાએ એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે, સેના અને મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર વચ્ચે મતભેદો છે. વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે, બંને દેશના હિતો અને સાર્વભૌમત્વના રક્ષણ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે તાજેતરમાં મ્યાનમાર માટે ‘માનવતાવાદી કોરિડોર’ના પ્રસ્તાવ પર વિવાદ ઊભો થયો હતો. જે પછી ઘણી અફવાઓ ફેલાઈ હતી.

હકીકતમાં, યુનુસે ‘માનવતાવાદી કોરિડોર’ સંબંધિત આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો, પરંતુ સેનાને તેની જાણ નહોતી. આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને તેને ‘લોહિયાળ કોરિડોર’ ગણાવીને ફગાવી દીધો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઢાકા કેન્ટોનમેન્ટમાં ઓફિસર્સ મેસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, લશ્કરી કામગીરી નિર્દેશાલયના ડિરેક્ટર બ્રિગેડિયર જનરલ નાઝીમ-ઉદ-દૌલાએ કહ્યું, ‘સેના અને સરકાર વચ્ચે કોઈ તણાવ નથી. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.’
તેમને વધુમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશની સુખાકારી અને સાર્વભૌમત્વ એ અમારી સંયુક્ત જવાબદારી છે. જો કંઈક ખોટું થશે, તો અમે બંને સમાન રીતે જવાબદાર હોઈશું.’ તેમને આગળ કહ્યું કે, ‘આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે, અને હું દરેકને વિનંતી કરું છું કે પરિસ્થિતિને ખોટી રીતે ના સમજે. સરકાર અને બાંગ્લાદેશ સેના વચ્ચે કોઈ મતભેદ નથી. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ, દરેક વસ્તુ પર અમે એકબીજાના પૂરક છીએ.’

સેના અને સરકારને ‘એક જ પરિવારનો ભાગ’ ગણાવતા, દૌલાએ કહ્યું કે કોઈપણ નાના મોટા મતભેદને તે સંદર્ભમાં જોવું જોઈએ. ‘કોઈપણ પરિવારની જેમ, ક્યારેક શબ્દોમાં કે સમજણમાં મતભેદ હોઈ શકે છે. પરંતુ તે અલગ હોવાના સંકેતો નથી. તે પ્રક્રિયાનો એક ભાગ છે, અને દરેક વાતનો ઉકેલ લાવી શકાય છે.’ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોના આધારે, નાઝિમ-ઉદ-દૌલાએ મ્યાનમાર કોરિડોર પર વધુમાં કહ્યું, ‘ચોક્કસપણે અમે સરહદ પર કોઈ સમાધાન કરીશું નહીં, અને જ્યાં સુધી અમારી અંદર શ્વાસ છે, અમે લોકો તેના પર કોઈ સમાધાન કરીશું નહીં, આ અમારો દેશ છે અને અમે કોઈપણ કિંમતે તેનું રક્ષણ કરીશું.’
તેમણે મીડિયાને નાગરિક-લશ્કરી સંબંધોને ખોટી રીતે ન સમજવાની પણ અપીલ કરી. કર્નલ શફીકુલ ઇસ્લામે કહ્યું, ‘આ એક સંવેદનશીલ મામલો છે. હું સ્પષ્ટ કરી દઉં છું કે, બાંગ્લાદેશ સેના ક્યારેય એવી કોઈ કાર્યવાહીમાં સામેલ નહીં થાય જે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે.’ સેનાએ અફવાઓનો અંત લાવવાનો પ્રયાસ કર્યો કે સરકાર સાથે તેનો સહયોગ મજબૂત છે.