
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઉથલપાથલ થઇ ગઈ છે. તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચ અને મોંઘવારી વધી છે. આ દરમિયાન, IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચેતવણી આપી હતી કે, જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ આમ જ ચાલુ રહેશે અને તેલના ભાવ રેકોર્ડ સ્તરે રહેશે, તો વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલ સમયનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું કે મોંઘવારીની અસર ખાવા પીવાની વસ્તુઓ પર પડી શકે છે. જ્યોર્જિવાએ વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘જો આ સંઘર્ષ ચાલુ રહેશે, તો આપણે અત્યારથી જ મુશ્કેલ સમય માટેની તૈયારી કરવી જોઈએ.’

જ્યોર્જિવાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો ખાતરની સસ્તી ડિલિવરી ટૂંક સમયમાં શરૂ નહીં થાય, તો મોંઘવારીની અસર ખાવા પીવાની સાથે જોડાયેલી વસ્તુઓ સુધી પહોંચશે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર ઈઝરાયલના હુમલા પછી, તેહરાનની વળતા પ્રહારની કાર્યવાહીએ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ, હોર્મુઝ સ્ટ્રેટને વર્ચ્યુઅલ રીતે બંધ કરી દીધો હતો. તેલ અને ખાતરના પરિવહન માટે આ માર્ગ મહત્વપૂર્ણ છે. આ માર્ગ બંધ રહેવાને કારણે ઉર્જાના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેની અસર તેલ આયાત પર નિર્ભર દેશો અને નબળા અર્થતંત્રોવાળા દેશો પર પડી છે.

IMF ચીફે જણાવ્યું હતું કે, અમે ખાદ્ય ફુગાવાના જોખમ અંગે ચિંતિત છીએ. ખાતરોના વધતા ખર્ચથી પાક ઉત્પાદન પર અસર પડશે, જેના કારણે વિકાસશીલ દેશોમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થશે. IMF સ્ટ્રેટેજી ડિરેક્ટર ક્રિશ્ચિયન મુમસેને જણાવ્યું હતું કે, ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો તેમના કુલ ખર્ચના 36 ટકા પોતાના ખાવા પીવાના ખર્ચ પર કરે છે. ઉભરતા બજાર દેશો 20 ટકા ખર્ચ કરે છે, અને વિકસિત દેશો ખાવા પીવાની વસ્તુઓ પર માત્ર 9 ટકા ખર્ચ કરે છે. આવી સ્થિતિમાં, તેલ અને ખાતર સંકટ ગરીબ દેશો પર સૌથી વધુ અસર કરશે.

IMFએ એવો પણ અંદાજ લગાવ્યો હતો કે, આગામી સમયગાળામાં નવી નાણાકીય સહાયની માંગ 20 બિલિયન ડૉલરથી 50 બિલિયન ડૉલર સુધીની હોઈ શકે છે. જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે IMF પાસે હાલમાં 39 ચાલુ કાર્યક્રમો છે અને ઓછામાં ઓછા એક ડઝન દેશો તરફથી નવી સહાયની અપેક્ષા છે. તેમણે ભાર મૂકીને કહ્યું કે, ‘જેટલી વહેલી સહાય ઉપલબ્ધ થશે, તેટલી સારી અર્થવ્યવસ્થા અને લોકોનું રક્ષણ થઇ શકશે.’
ફુગાવાને નિયંત્રિત કરવા માટે વિવિધ દેશો દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે, જ્યોર્જિવાએ કેન્દ્રીય બેંકોને સલાહ આપી હતી કે, જો જનતાને ફુગાવાને નિયંત્રિત કરવામાં વિશ્વાસ હોય તો વ્યાજ દરોમાં ફેરફાર કરતા પહેલા ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવે. તેમણે કહ્યું કે, જો યુદ્ધ જલ્દી સમાપ્ત થયું તો વધુ પગલાં લેવાની જરૂર રહેશે નહીં. સરકારોએ લોકોને રાહત આપવાના નામે નિકાસ પ્રતિબંધો અથવા કર ઘટાડા લાદવા જોઈએ નહીં.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ