
ઓપરેશન શીલ્ડ હેઠળ 31 મેના રોજ જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ચંદીગઢમાં વિશાળ સ્તરે મોકડ્રીલ યોજવામાં આવશે. આ પહેલા 29 મેના રોજ યોજાવાની હતી, પરંતુ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. આ અભ્યાસનો હેતુ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવી અને જનતામાં કટોકટીની સ્થિતિને લઈને જાગૃતિ ફેલાવવી છે.

7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાઈ હતી, પરંતુ એ પહેલાં 6 મેની રાત્રે ભારતે “ઓપરેશન સિંદૂર”ના નામે વિશિષ્ટ સેનાકીય કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનના મુરીદકે અને બહાવલપુર સહિત 9 આતંકી અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં લશ્કર અને જૈશના ટેરર નેટવર્ક પણ નાબૂદ થયા હતા.
સરકારના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકીઓ મોતને ઘાટ ઉતારાયા હતા. આ હુમલાઓથી અઝહર મસુદ અને હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓ પર સીધી અસર થઈ હતી. બાદમાં પાકિસ્તાને ભારત સામે ડ્રોન હુમલા શરૂ કર્યા, જેને ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક પરત ધકેલ્યા અને પાકિસ્તાનના એરબેઝને પણ નુકસાન પહોંચાડ્યું.

મોકડ્રીલ એ એક અભ્યાસ છે, જેમાં આગ, ભૂકંપ, તબીબી કે આતંકવાદી હુમલાની સ્થિતિ માટે લોકોને તૈયાર કરવામાં આવે છે. લોકોની પ્રતિક્રિયા કે કેવી રીતે બચાવ કામકાજ કરવામાં આવે તે પણ ચકાસવામાં આવે છે.
આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો ઘભરાયા વિના યોગ્ય પગલાં લઈ શકે એ છે.