

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનો સામાન્ય માણસ (કોમન મેન) અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. એક સમયે ઓટો રિક્ષા ચલાવનારા DyCM શિંદેને જલગાંવ એરપોર્ટ પર બે ઘટનાઓનો સામનો કરવો પડ્યો. પહેલી, તેમના અંગત પાયલોટે વિમાન ઉડાડવાનો ઇનકાર કર્યો. જ્યારે DyCM શિંદે મોડેથી નીકળ્યા, ત્યારે એરપોર્ટ પર એક જરૂરિયાતમંદ પરિવાર તેમને મળી ગયો.

મહારાષ્ટ્રના જલગાંવ એરપોર્ટ પર DyCM એકનાથ શિંદેની ફ્લાઇટ ટેકનિકલ કારણોસર લગભગ બે કલાક મોડી પડી હતી. તેમની ફ્લાઇટ શુક્રવારે બપોરે 3:45 વાગ્યે આવવાની હતી, પરંતુ તેઓ મોડેથી 6:15 વાગ્યે જલગાંવ એરપોર્ટ પર ઉતરી શક્યા. ત્યારપછી તેમને જલગાંવથી રોડ માર્ગે મુક્તાઈનગર જવું પડ્યું હતું, જ્યાં તેમણે સંત મુક્તાઈની પાલખી યાત્રા (ધાર્મિક શોભાયાત્રા)માં ભાગ લીધો અને મંદિરના દર્શન કર્યા.
જ્યારે તેઓ રાત્રે 9:15 વાગ્યે જલગાંવ એરપોર્ટ પરત ફર્યા, ત્યારે વિમાનના પાયલોટે વિમાન ઉડાડવાનો ઇનકાર કર્યો હતો. ડ્યુટીના સમયનો ઉલ્લેખ કરીને પાયલોટે કહ્યું કે, હું ઉડાન ભરી શકું એમ નથી. જ્યારે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનો પાઇલટ પહેલાથી જ સતત 12 કલાક સુધી ઉડાન ભરી ચૂક્યો હતો. તેની સ્થિતિ અને ટેકનિકલ નિયમોને કારણે તે વધુ ઉડાન ભરવાની સ્થિતિમાં નહોતો.

આ અંગે મંત્રી ગિરીશ દત્તાત્રેય મહાજન, ગુલાબ રઘુનાથ પાટીલ અને જિલ્લા વહીવટી અધિકારીઓએ પાઇલટને સમજાવવાનું શરૂ કર્યું. ઘણી વાતચીત અને સમજાવટ પછી, પાઇલટ લગભગ 45 મિનિટ પછી ઉડાન ભરવા માટે સંમત થયો. ત્યારપછી DyCM શિંદે જલગાંવથી વિમાન દ્વારા મુંબઈ પહોંચ્યા.
તેમનો આ વિલંબ કિડનીના દર્દી શીતલ પાટીલ માટે વરદાન સાબિત થયો. શીતલની સારવાર રાજધાની મુંબઈમાં થવાની હતી, પરંતુ તેનું વિમાન પહેલાથી જ ઉડાન ભરી ચૂક્યું હતું. જ્યારે મંત્રી ગિરીશ મહાજનને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક વ્યવસ્થા કરી અને શીતલ અને તેના પતિને DyCM એકનાથ શિંદે સાથે વિમાનમાં મુંબઈ મોકલી દીધા. મુંબઈ એરપોર્ટ પર તેમના માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ગુલાબરાવ પાટીલે આ ઘટના પર કહ્યું, ‘DyCM એકનાથ શિંદે હજુ પણ તેમના સંઘર્ષના દિવસો યાદ કરે છે અને સામાન્ય માણસ પ્રત્યે સંવેદનશીલ છે. તેમની આ સંવેદનશીલતાએ આજે એક જીવ બચાવવામાં મદદ કરી.’