fbpx

4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

Spread the love
4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે કોંગ્રેસ અને BJP વચ્ચે સત્તા બદલાયા કરતી હોય છે. હાલમાં, BJP અહીં સત્તામાં છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં BJPએ મોટી જીત મેળવી અને અશોક ગેહલોતની સરકારને સત્તામાંથી દૂર કરી. વિધાનસભા ચૂંટણીમાં હાર સમયે રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે રાજ્ય કોંગ્રેસમાં પરિવર્તનની જરૂર છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વર્ષો જૂની રાજકીય દુશ્મનાવટ વિશે પણ ચર્ચા થઈ હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો મેળવીને BJPને મોટો ઝટકો આપ્યો. કોંગ્રેસે તેના ગઠબંધન ભાગીદારો સાથે મળીને રાજ્યમાં 20માંથી 11 બેઠકો જીતી હતી.

જોકે, લોકસભા ચૂંટણી પછી, રાજસ્થાનનું રાજકારણ ફરી ઠંડુ પડી ગયું છે. કારણ કે રાજ્યમાં ચૂંટણી માટે હજુ ઘણો સમય બાકી છે. પરંતુ શનિવારે અચાનક આ ઠંડુ રાજકીય વાતાવરણ ઉનાળાની ગરમી જેવું થઇ ગયું, જ્યારે ખબર પડી કે સચિન પાયલટ અશોક ગેહલોતના ઘરે ગયા અને તેમને મળ્યા. એવું કહેવાય છે કે આ પહેલી વાર હતું જ્યારે સચિન પાયલટ અશોક ગેહલોતના ઘરે ગયા હતા.

Ashok-Gehlot-Sachin-Pilot1

રાજસ્થાનના રાજકારણમાં કોંગ્રેસમાં એક મોટો ફેરફાર થઈ રહ્યો છે, કારણ કે જુલાઈ 2021 પછી ભૂતપૂર્વ CM અશોક ગેહલોત અને સચિન પાયલટ પહેલી વાર મળ્યા હતા. આ મુલાકાત લગભગ એક કલાક ચાલી હતી અને બંધ બારણે થયેલી બેઠકને કારણે નવી રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે.

હકીકતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન પાયલટ અશોક ગેહલોતને તેમના સ્વર્ગસ્થ પિતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજેશ પાયલટની 25મી પુણ્યતિથિ કાર્યક્રમમાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન, રાજસ્થાનના આ બંને દિગ્ગજો વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત લાંબા સમય પછી થઈ છે. અશોક ગેહલોતે આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો અને લખ્યું કે AICC મહાસચિવ સચિન પાયલટ તેમને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રાજેશ પાયલટની 25મી પુણ્યતિથિ કાર્યક્રમમાં આમંત્રણ આપવા આવ્યા હતા જે તેમના નિવાસસ્થાને યોજાશે.

Ashok-Gehlot-Sachin-Pilot3

પોતાની પોસ્ટમાં, અશોક ગેહલોતે રાજેશ પાયલટ સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા લખ્યું કે, રાજેશ પાયલટ અને હું 1980માં પહેલી વાર લોકસભામાં સાથે પહોંચ્યા અને લગભગ 18 વર્ષ સુધી સાંસદ રહ્યા. તેમનું અકાળ અવસાન આજે પણ આપણને દુઃખ આપે છે, તેમની વિદાય પાર્ટી માટે પણ મોટો ફટકો હતો.

બીજી તરફ, સચિન પાયલોટે પણ આ મુલાકાતનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે તેઓ ભૂતપૂર્વ CM અશોક ગેહલોતને મળ્યા હતા. 11 જૂને દૌસામાં પિતા સ્વર્ગસ્થ રાજેશ પાયલટની 25મી પુણ્યતિથિ પર આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં તેમને આમંત્રણ આપ્યું હતું.

Ashok-Gehlot-Sachin-Pilot4

અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં રાજકીય સંકટ દરમિયાન, અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બન્યા હતા. બંનેની છેલ્લી મુલાકાત જુલાઈ 2021માં થઈ હતી. આવી સ્થિતિમાં, આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2023માં, કોંગ્રેસ BJP સામે વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી. રાજકીય વિશ્લેષકો એ પણ નિર્દેશ કરે છે કે બંને નેતાઓ વચ્ચેની કડવાશને કારણે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું હતું અને પાર્ટી રાજ્યની સત્તા બચાવી શકી ન હતી.

error: Content is protected !!