

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ છોડવાથી લઈને OTT પ્લેટફોર્મ પરના પ્રશ્નો સુધી સમાચારમાં છવાયેલો રહે છે. જોકે, આ ફિલ્મ નિર્દેશકનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ત્યારપછી એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને મજાક ઉડાવી છે.

એકતા કપૂરે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની ‘સાસુ-વહુ’ વાળી ટિપ્પણી પર એકદમ કડક જવાબ આપ્યો છે. તેને ‘ક્લાસિસ્ટ’ ગણાવતા, એકતાએ અનુરાગ કશ્યપની ભારતીય ફેમિલી નાટકો અને દૈનિક ધારાવાહિકોને નજરઅંદાજ કરવા બદલ ટીકા કરી છે. ફિલ્મ નિર્માતાએ નેટફ્લિક્સના CEO ટેડ સારાન્ડોસની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘સેક્રેડ ગેમ્સ’ સાથે ભારતમાં OTT પ્લેટફોર્મ શરૂ કરવું એ ‘ભૂલ’ હતી. અનુરાગ કશ્યપને તેમના શબ્દો ગમ્યા નહીં, કારણ કે તેમણે જ ‘સેક્રેડ ગેમ્સ’નું નિર્દેશન અને નિર્માણ સંભાળ્યું હતું.

અનુરાગ કશ્યપે નેટફ્લિક્સના CEO ટેડ સારાન્ડોસની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે ટેડ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે OTT પ્લેટફોર્મને ‘સાસુ-વહુ’ના નાટક સાથે લોન્ચ કરવું જોઈતું હતું. હવે આ બાબતો એકતા કપૂરને ગમી નથી કારણ કે તેણે દાયકાઓથી ‘સાસુ-વહુ’ TV શો બનાવ્યા છે અને બધા હિટ પણ રહ્યા છે.
એકતા કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અનુરાગ કશ્યપ માટે લખ્યું, ‘તું એકદમ મૂર્ખ છો… તમે આ કહીને પોતાને સ્માર્ટ અને કૂલ માનો છો, પણ ના! ડાર્લિંગ, નમ્રતા અને સ્વ-જાગૃતિનું શું? આ એક એવી કળા છે જે ઘણા કલાકારો પાસે નથી!’ એકતા કપૂરે કહ્યું કે ‘સાસુ-વહુ’ સિરિયલોએ ભારતીય જનતા પર, ખાસ કરીને મહિલાઓને અવાજ આપવા પર મોટી અસર કરી છે. તેણે એમ પણ કહ્યું કે, જે લોકો સમાવિષ્ટ વિશ્વની વાત કરે છે તેઓ ઘણીવાર પોતે ક્લાસિસ્ટ હોય છે.

એકતા કપૂરે કહ્યું કે લોકશાહી અને ન્યાય માટે આપણે તે વલણ બદલવું પડશે, જેમાં વ્યક્તિ પોતાને બીજા કરતા શ્રેષ્ઠ માને છે અને તેમને નીચા બતાવે છે. અહીં તમને જણાવી દઈએ કે, ટેડે તાજેતરમાં નિખિલ કામથના પોડકાસ્ટ પર કહ્યું હતું કે, જો તેને ફરીથી તક મળે, તો તે થોડા સમય પછી નેટફ્લિક્સ પર ‘સેક્રેડ ગેમ્સ’ રિલીઝ કરત. તેણે વિચાર્યું કે કદાચ કોઈ બીજી ફિલ્મ કે શો પહેલા રિલીઝ થવું જોઈતું હતું, જે લોકોને વધુ ગમતું હોય.