

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માનું 2027નો વર્લ્ડ કપ રમવાનું સપનું હવે મુશ્કેલીમાં મુકાતું નજરે પડી રહ્યું છે. 2027માં દક્ષિણ આફ્રિકામાં આગામી વન-ડે વર્લ્ડ કપ થશે, ત્યારે રોહિત 40 વર્ષનો થઈ જશે. એવામાં જો બધા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વન-ડે ટીમમાં નેતૃત્વ પરિવર્તનની યોજના બનાવી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, BCCIને અપેક્ષા હતી કે રોહિત ટેસ્ટમાંથી સંન્યાસ લેવા સાથે સાથે વન-ડેમાંથી પણ સંન્યાસ લઈ લેશે, પરંતુ 38 વર્ષીય રોહિતે બધાને ચોંકાવતા વન-ડે ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો, જેથી વર્ષ 2027ના વર્લ્ડ કપનું સપનું પૂરું થઈ શકે.

નોંધનીય છે કે, રોહિતે વર્ષ 2023ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. જોકે તે ટાઇટલ જીતવાનું ચૂકી ગયો હતો. ત્યારબાદ તેણે ભારતને T20 વર્લ્ડ કપ અને વર્ષ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડીતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જીત્યા બાદ રોહિતે કહ્યું હતું કે, ‘એક બીજી વાત, હું વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નથી. જેથી કોઈ અફવાઓ ન ફેલાય.’

રિપોર્ટ્સ મુજબ, BCCI હવે વન-ડે ટીમમાં બદલાવ કરવાનું વિચારી રહી છે. ટીમ મેનેજમેન્ટ આ ફોરમેટની કમાન ભવિષ્યને ધ્યાનમાં રાખતા કોઈ યુવા ખેલાડીને સોંપવા માગે છે. BCCI પાસે વર્ષ 2027 વર્લ્ડ કપ પહેલા 27 વન-ડે મેચ છે, જેથી નવા કેપ્ટનને તૈયાર કરવાની સારી તક મળશે. મેડિયા રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐયયરને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન્સી મળી શકે છે. ઐય્યરે IPLમાં 3 ટીમોનું નેતૃત્વ કર્યું છે અને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી છે.

હાલમાં શ્રેયસ માત્ર વન-ડે રમે છે, પરંતુ આ IPL બાદ તેને T20 અને ટેસ્ટ ક્રિકેટથી દૂર રાખવું મુશ્કેલ હશે. હવે તે સત્તાવાર રીતે સફેદ બોલની કેપ્ટન્સીની રેસમાં સામેલ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિતે T20માંથી સંન્યાસ લઈ લીધો હતો. તો, તાજેતરમાં જ રોહિતે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધી હતી. જોકે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે 2027નો વર્લ્ડ કપ રમવા માગે છે.