

ગુજરાતમાં ભાજપની રાજકીય સફળતા એક સમયે દેશભર માટે ઉદાહરણ હતી. પરંતુ છેલ્લાં ત્રણચાર વર્ષમાં ગુજરાતમાં પક્ષનું સંગઠન અને સરકાર બંને ચર્ચાના કેન્દ્રમાં છે અને તે પણ નકારાત્મક કારણોસર. પીઢ કાર્યકર્તા અને પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીના તાજેતરના નિવેદનોએ ગુજરાત ભાજપના સંગઠનની નબળાઈઓને ઉજાગર કરી છે. આ નિવેદનો માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ હજારો કાર્યકર્તાઓની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે જેમણે પક્ષના વિકાસ માટે જીવન સમર્પિત કર્યું છે. પ્રશ્ન એ છે કે શું આ ગુજરાત ભાજપની પડતીનો આરંભ છે કે પોતાની ખોવાયેલી ઓળખ પાછી મેળવવાની તક?

ગુજરાત ભાજપનું હાલનું સંગઠન સદંતર નિષ્ફળ રહ્યું છે એવું કહેવું અતિશયોક્તિ નથી. શિસ્ત, માન-મર્યાદા અને એકાત્મભાવના જેવાં મૂલ્યો જે ભાજપની ઓળખ હતાં તે આજે લગભગ લુપ્ત થઈ ગયાં છે. કાર્યકર્તાઓની લાગણીઓને જાળવવામાં સંગઠન સદંતર નિષ્ફળ રહ્યું છે. પીઢ કાર્યકર્તાઓનું અપમાન, નેતાઓની ઉદાસીનતા અને વાણીવિલાસનો સિલસિલો એટલો વધી ગયો છે કે ઘણા કાર્યકર્તાઓ પોતાને નાતબહાર જાકારો આપેલા અનુભવે છે. જેમણે દાયકાઓ સુધી ગામડેગામડે ભાજપનો ઝંડો લહેરાવ્યો તેમની વાત આજે પક્ષમાં સાંભળવામાં નથી આવતી. આ નારાજગી નાનુભાઈના શબ્દોમાં ઝળકી છે જે ગુજરાત ભાજપના આંતરિક ભૂકંપનો સંકેત આપે છે.

સંગઠનની આ નિષ્ફળતા માત્ર કાર્યકર્તાઓની નારાજગી સુધી સીમિત નથી. સરકારની નીતિઓ અને વહીવટમાં પણ ખામીઓ જોવા મળી રહી છે. જનતાની અપેક્ષાઓ અને સરકારનું પ્રદર્શન વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સંગઠન અને સરકાર વચ્ચેનો સંનાદ નબળો પડી ગયો છે. કાર્યકર્તાઓ જે પક્ષ અને જનતા વચ્ચેનો પુલ હતા આજે પોતાને ઉપેક્ષિત અનુભવે છે. આ ઉપેક્ષાને કારણે ઘણા કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ રહ્યા છે જે ભાજપની ભાવિ માટે ખતરનાક સંકેત છે.

આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? પ્રદેશ નેતૃત્વની ઉદાસીનતા, આંતરિક ઈર્ષ્યા ગુંડાગીરી કે પક્ષની મૂળ ઓળખથી દૂર થવું? જવાબ સૌના હૈયામાં છે પરંતુ પક્ષ પ્રત્યેની નિષ્ઠા કાર્યકર્તાઓને ચૂપ રહેવા મજબૂર કરે છે. પરંતુ આ મૌન હવે તૂટી રહ્યું છે. કાર્યકર્તાઓની લાગણીઓને સન્માન આપવું, તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવું અને સંગઠનમાં શિસ્ત પુનઃસ્થાપિત કરવું એ આજની પક્ષની સૌથી મોટી જરૂરિયાત છે.
ભાજપે આજે આત્મનિરીક્ષણ કરવું પડશે. જો પક્ષ પોતાના મૂળ મૂલ્યો શિસ્ત, એકતા અને કાર્યકર્તાઓના સન્માન તરફ નહીં પાછો ફરે તો ગુજરાતમાં ભાજપની કોંગ્રેસ જેવી દુર્દશા થવાની શક્યતા નકારી શકાય નહીં. નેતૃત્વએ ખુલ્લા મનથી કાર્યકર્તાઓની વાત સાંભાળવી, નવા અને જૂના કાર્યકર્તાઓનો સમન્વય સાધવો અને જનતાના વિશ્વાસને પાત્ર બનવા પગલાં ભરવાં જોઈએ.

ગુજરાત ભાજપ માટે આ એક ચેતવણીનો સમય છે પરંતુ સાથે જ પુનઃજન્મની તક પણ. ભાજપે કાર્યકર્તાઓની લાગણીઓને પ્રાથમિકતા આપી, સંગઠનને મજબૂત કરવું જોઈએ. જો આ દિશામાં પગલાં લેવામાં આવે તો ગુજરાત ભાજપ ફરી એકવાર રાજકીય શક્તિનું પ્રતીક બની શકે છે. ટૂંકમાં જો ભાજપનું ગુજરાતનું નિષ્ફળ નેતૃત્વ સમજે તો આ ચિંતનનો સમય છે પક્ષ, કાર્યકર્તાઓ અને ગુજરાતના ભવિષ્ય માટે.
