

ગુજરાત જે એક સમયે સામાજિક એકતા, સંસ્કૃતિ અને સૌહાર્દનું પ્રતીક હતું આજે તેની તે ઓળખ ઝાંખી પડતી જોવા મળે છે. ગુજરાતની જનતા જે પોતાની સામાજિક સંવાદિતા અને એકજૂથ થઈને પડકારોનો સામનો કરવાની શક્તિ માટે જાણીતી હતી આજે અનેક સામાજિક અને રાજકીય ગૂંચવણોનો સામનો કરી રહી છે. આજના સમયમાં આંદોલનોના નામે ઉભા થતા કેટલાક તકસાધુઓએ સમાજમાં વિખવાદ અને અસ્થિરતા ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. આવા આંદોલનો જે બાહ્ય રીતે સામાજિક ન્યાયના નામે શરૂ થતા હોય છે ઘણી વખત રાજકીય હિતોને પોષવાનું સાધન બની જાય છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતની જનતાએ સામાજિક જાગૃતિ દ્વારા આવા તકવાદીઓથી સાવધ રહેવું જરૂરી બન્યું છે.

ગુજરાતનો ઇતિહાસ સામાજિક એકતાની અનેક મિસાલોથી ભરેલો છે. ગાંધીજીના નેતૃત્વ હેઠળનું અસહકાર આંદોલન હોય કે સરદાર પટેલનું ખેડૂત આંદોલન આ બધાએ ગુજરાતની જનતાને એક મંચ પર લાવી હતી. પરંતુ આજે આંદોલનોની પ્રકૃતિ બદલાઈ ગઈ છે. કેટલાક આંદોલનો જે સામાજિક ઉન્નતિના નામે શરૂ થાય છે તે ટૂંક સમયમાં જ રાજકીય ફાયદા ઉઠાવવાનું સાધન બની જાય છે. આવા આંદોલનોના નેતાઓ જે પોતાને સમાજના હિતેચ્છુ તરીકે રજૂ કરે છે ઘણી વખત પોતાના અંગત લાભ માટે સમાજની લાગણીઓનો દુરુપયોગ કરે છે. આવા તકસાધુઓની ઓળખ કરવી અને તેમની સામે સામાજિક જાગૃતિ લાવવી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

આંદોલનોના નામે ઉભી થતી અસ્થિરતા સમાજના દરેક વર્ગને અસર કરે છે. ખાસ કરીને યુવાનો જેઓ લાગણીઓના જોશમાં આવીને આવા આંદોલનોમાં જોડાય છે તેમનું ભવિષ્ય અને કારકિર્દી જોખમમાં મૂકાય છે. આવા આંદોલનોમાં ભાગ લેનારા ઘણા નિર્દોષ લોકોની લાગણીઓનો દુરુપયોગ થાય છે અને તેમનું જીવન અંધકારમય થાય છે. ગુજરાતના ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો જોવા મળે છે જ્યાં આંદોલનોના નામે હિંસા, તોફાનો અને સામાજિક અસ્થિરતા ફેલાઈ જેમાં ભોગ સામાન્ય જનતા નોજ લેવાતો આવ્યો.
આવી પરિસ્થિતિમાં સામાજિક જાગૃતિ એ એકમાત્ર ઉપાય છે. ગુજરાતની જનતાએ એ સમજવું જરૂરી છે કે દરેક આંદોલનની પાછળનો હેતુ શું છે. શું તે ખરેખર સમાજના હિતમાં છે કે તેનો ઉપયોગ રાજકીય ફાયદા માટે થઈ રહ્યો છે? આંદોલનના નેતાઓની નિયત અને તેમના કામની પારદર્શિતા પર સવાલ ઉઠાવવો જરૂરી છે.

ગુજરાતની જનતાએ એકજૂથ થઈને આવા તકસાધુઓનો પર્દાફાશ કરવો જોઈએ. આપણે આપણી સંસ્કૃતિ, એકતા અને સૌહાર્દની ઓળખને ફરીથી જાગૃત કરવી જોઈએ. ગુજરાતની જનતાની શક્તિ એની એકતામાં છે અને આ શક્તિને બચાવવા માટે સૌએ સજાગ રહેવું પડશે. તકવાદી આંદોલનોનો અંત લાવી ગુજરાતને સામાજિક એકતાનું પ્રતીક બનાવવું એ આજના સમયનો સૌથી મોટો પડકાર છે. આ દિશામાં સામૂહિક પ્રયાસો જ ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે.