

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે કોંગ્રેસ પાસે માગ કરી હતી કે તે 50 વર્ષ અગાઉ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લગાવવામાં આવેલી ઈમરજન્સી માટે માફી માગે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા હોસબાલેએ સંવિધાનની પ્રસ્તાવનામાંથી 2 શબ્દ ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ હટાવવાની જોરદાર હિમાયત કરી. આ શબ્દ ઈમરજન્સી દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકારે જોડ્યા હતા.
વર્ષ 1975માં લગાવવામાં આવેલી ઈમરજન્સીને યાદ કરતા, હોસબાલેએ કહ્યું કે, એ દરમિયાન હજારો લોકોને જેલમાં નાખવામાં આવ્યા અને યાતનાઓ આપવામાં આવી. ન્યાયપાલિકા અને મીડિયાની આઝાદી પણ છીનવી લેવામાં આવી હતી. હોસબાલેએ કહ્યું કે ઈમરજન્સી દરમિયાન મોટા પ્રમાણમાં બળજબરીથી નસબંધી કરવામાં આવી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો તે સમયે આ બધું કરી રહ્યા હતા અને આજે સંવિધાનની નકલ લઈને ફરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી માફી માગી નથી, હવે માફી માગો. તેમણે વધુમાં કહ્યું કે તમારા પૂર્વજોએ આ કર્યું હતું, દેશ પાસે તેના માટે માફી માગવી જોઈએ.

ક્યારે અને શા માટે લાગી હતી ઈમરજન્સી?
25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી. તેનું કારણ અલ્લાહબાદ હાઇકોર્ટનો નિર્ણય હતો, જેમાં તેમની લોકસભા સીટ રદ કરવામાં આવી હતી. ‘આંતરિક અશાંતિ’નો સંદર્ભ આપતા સરકારે સંવિધાનને સ્થગિત કરી દીધું. RSS, જન સંઘ અને વિપક્ષી નેતાઓ સહિત લાખો લોકોને કોઈ કારણ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે.પી. આંદોલનના નેતા જયપ્રકાશ નારાયણથી લઈને સામાન્ય કાર્યકર્તા સુધી બધા પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.
ઈમરજન્સીમાં સંજય ગાંધીના નેતૃત્વમાં લાખો પુરુષોની બળજબરીપૂર્વક નસબંધી કરવામાં આવી હતી. ગામે ગામ ટારગેટ આપવામાં આવ્યા હતા, જેણે ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ રહેનારા લોકોને સૌથી વધુ નુકસાન પહોંચાડયું. પ્રેસ પર સેન્સરશીપ લાગી. અખબારોને સરકારના ઈશારે કામ કરવા મજબૂર કરવામાં આવી હતી. કોર્ટની સ્વતંત્રતા પર પણ નજર રાખવામાં આવી હતી.

1976માં 42મા સુધારા દ્વારા ઈમરજન્સી દરમિયાન સંવિધાનની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ જોડવામાં આવ્યા હતા. RSSનો દાવો છે કે આ શબ્દો બળજબરીથી થોપવામાં આવ્યા હતા અને હવે તેમને હટાવવાનો સમય છે.