

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ ગુમાવ્યો અને તેને પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યું છે. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી છે અને કેએલ રાહુલ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ટોસ બાદ રવિ શાસ્ત્રી ભારતીય ટીમ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા અને તેનું કારણ હતું ગૌતમ ગંભીર અને શુભમન ગિલનો મોટો નિર્ણય હતો. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી જસપ્રીત બૂમરાહ ગાયબ હતો અને રવિ શાસ્ત્રીએ તેના પર સવાલ ઉઠાવ્યો હતો. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જો જસપ્રીત બૂમરાહ આ મેચ માટે ફિટ હતો, તો તેણે આ મેચ રમવી જ જોઈતી હતી.
રવિ શાસ્ત્રીએ જિયો હોટસ્ટાર સાથેની વાતચીતમાં કહ્યું કે, બૂમરાહને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ ન કરવું એ ખૂબ જ અજીબ છે. જો બૂમરાહ રમવા માટે ફિટ હતો, તો આ એક અજીબ નિર્ણય છે. આ એક મહત્ત્વપૂર્ણ ટેસ્ટ મેચ છે. ભારતીય ટીમ માટે આ મેચમાં જીત જરૂરી છે. બૂમરાહ એક મહત્ત્વનો ખેલાડી છે, કોઈ કિન્તુ-પરંતુ નથી, બૂમરાહે રમવું જોઈતું હતું.’

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ પહેલી ટેસ્ટ ગુમાવી ચૂકી છે અને એજબેસ્ટનમાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી, આ જ કારણ છે કે શાસ્ત્રી આ પ્રકારની વાતો કહેતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ મેચના એક દિવસ અગાઉ કહ્યું હતું કે જસપ્રીત બૂમરાહ પસંદગી માટે ફિટ છે. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે જો બૂમરાહ ન રમે તો પણ તેની પાસે 20 વિકેટ લેવાના વિકલ્પ છે.
ઉલ્લેખનીય કે, બૂમરાહની જગ્યાએ ભારતીય ટીમે આકાશદીપને ચાન્સ આપ્યો છે, જે બૉલ સ્વિંગ કરવામાં માહિર છે. એટલું જ નહીં, ભારતીય ટીમે વધુ 2 બદલાવ કર્યા છે. સાઈ સુદર્શનની જગ્યાએ નીતિશ રેડ્ડી અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ વોશિંગ્ટન સુંદર પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા છે. રિપોર્ટ્સ હતા કે અર્શદીપ સિંહને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે પરંતુ એવું થયું નથી.

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ XI
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા.