

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના 2.5 કરોડથી વધુ યુઝર ID નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. શંકાસ્પદ બુકિંગ પેટર્ન અને નકલી યુઝર્સની ઓળખ બાદ ID નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. સંસદમાં સાંસદ A.D. સિંહના પ્રશ્ન પર સરકારે આ માહિતી આપી છે.

આ એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરવામાં આવ્યા તે પહેલાં, તત્કાલ ટિકિટ બુકિંગમાં ઘણી સમસ્યાઓ આવતી હતી. ઘણીવાર એવું જોવા મળતું હતું કે, તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાની થોડીવારમાં ટિકિટ ગાયબ થઈ જતી હતી, કારણ કે એજન્ટો બોટ્સનો ઉપયોગ કરીને બધી ટિકિટ ગાયબ કરી દેતા હતા, જેના કારણે સામાન્ય મુસાફરો ટિકિટ બુક કરી શકતા ન હતા. જોકે, હવે કરવામાં આવેલા આ ફેરફાર પછી, રેલવે મુસાફરોને મોટી રાહત મળી છે.
સંસદમાં, સરકારે જણાવ્યું હતું કે, IRCTCએ તાજેતરમાં ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનિયમિતતાઓને રોકવા માટે 2.5 કરોડથી વધુ યુઝર ID નિષ્ક્રિય કર્યા છે. કારણ કે આ યુઝર ID શંકાસ્પદ મળી આવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેએ કન્ફર્મ ટિકિટ બુકિંગ અને ડિજિટલને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વધુ ફેરફારો કર્યા છે.

રેલ્વેએ આ નિયમોમાં ફેરફાર કર્યા છે: રિઝર્વ્ડ ટિકિટ ઓનલાઈન અથવા કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર ‘પહેલા આવો પહેલા મેળવો’ના ધોરણે બુક કરાવી શકાય છે. જોકે, કુલ ટિકિટોમાંથી લગભગ 89 ટકા ઓનલાઇન માધ્યમથી બુક કરાવી રહ્યા છે. ડિજિટલ માધ્યમથી ચુકવણીની સુવિધા PRS કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1 જુલાઈ, 2025થી, તત્કાલ યોજના હેઠળ ટિકિટ ફક્ત આધાર વેરિફાઈડ યુઝર્સ દ્વારા IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા બુક કરાવી શકાય છે. એજન્ટોને તત્કાલ રિઝર્વ ખુલ્યાના પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રેનોની વેઇટિંગ લિસ્ટની સ્થિતિનું નિયમિત ધોરણે નિરીક્ષણ કરવામાં આવે છે અને વધારાની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલ્વે ખાસ ટ્રેનો ચલાવી રહી છે.

સરકારે ઇમરજન્સી ક્વોટા અંગે પણ ફેરફારો કર્યા છે. અગાઉ, ઇમરજન્સી ક્વોટા હેઠળ ટિકિટ બુક કરવા માટે મુસાફરીના દિવસે અરજી કરી શકાતી હતી, પરંતુ હવે ઇમરજન્સી ક્વોટા માટે 1 દિવસ અગાઉ અરજી કરવી પડશે. આ ક્વોટા સાંસદો, વરિષ્ઠ અધિકારીઓ, તબીબી કટોકટી અને વરિષ્ઠ નાગરિકો માટે છે.

