

અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની રોકડ કાંડ કેસમાં મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે (12 ઓગસ્ટ) તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, કુલ 146 સભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓનો સામેલ છે. લોકસભાના સ્પીકરે એક તપાસ સમિતિની પણ રચના કરી છે. આ સમિતિમાં સામે ન્યાયાધીશોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બનાવેલી તપાસ સમિતિમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 1-1 ન્યાયાધીશને સામેલ કરવામાં આવ્યો છે. તો, આ સમિતિમાં એક કાયદાકીય નિષ્ણાતને પણ સામેલ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી મહાભિયોગ પ્રસ્તાવ પેન્ડિંગ રહેશે. સમિતિની વાત કરીએ તો, તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, કર્ણાટક હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ બીબી આચાર્ય અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મણીન્દ્ર મોહન શ્રીવાસ્તવને સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 14 માર્ચે જસ્ટિસ વર્માના સરકારી નિવાસસ્થાનમાં આગ લાગી ગઈ હતી. ત્યારે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં હતા. માહિતી મળ્યા બાદ દિલ્હી ફાયર સર્વિસની ટીમ તેમના ઘરે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યારબાદ એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો. જસ્ટિસ વર્માના સ્ટોર રૂમમાંથી 500-500 રૂપિયાની બળી ગયેલી નોટોના બંડલ મળી આવ્યા, જેને એક કોથળામાં રાખવામાં આવ્યા હતા. જસ્ટિસ વર્માએ કહ્યું હતું કે, તેમના ઘર કે સ્ટોરમાં કોઈ રોકડ નથી. તેમને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ 28 માર્ચે જસ્ટિસ વર્માને અલ્લાહબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે સંસદના બંને ગૃહોમાંથી કોઈપણમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. મહાભિયોગ પ્રસ્તાવ સૌથી પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અથવા લોકસભાના સ્પીકર સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રસ્તાવની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવે છે. તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રતિષ્ઠિત કાયદાના નિષ્ણાતને સામેલ કરવામાં આવે છે.

