

જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા કોઈ મંત્રી પર 5 વર્ષ કરતા વધુની સજાની જોગવાઈવાળા કેસમાં આરોપ લાગે તો તેમણે પદ પરથી હટવું પડશે. એવી જોગવાઈવાળા બિલને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, RJDના નેતાઓએ તેનો વિરોધ કરતા કહ્યું કે, આ લોકતંત્રની વિરુદ્ધ છે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ કર્યો છે. આ દરમિયાન અમિત શાહે પોતે જ પોતાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે રાજનીતિમાં શુદ્ધતા જાળવવી જરૂરી છે અને આપણે આપણી જવાબદારીથી નહીં ભાગી શકીએ.

એટલું જ નહીં, તેમણે પોતાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ‘જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા. મેં પદ પરથી રાજીનામું આપ્યું અને કોર્ટના આદેશોનું પાલન કર્યું. ત્યારબાદ જ્યારે હું આરોપોમાંથી મુક્ત થયો અને બંધારણ હેઠળ પદ સંભાળવાનો અધિકાર મળ્યો ત્યારે જ મેં ફરીથી જવાબદારી સંભાળી.’ એટલું જ નહીં, અમિત શાહે કહ્યું કે ‘આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે અને રાજનીતિમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપશે.’ જ્યારે ઘણા વિપક્ષી સાંસદોએ કહ્યું કે, આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે, ત્યારે અમિત શાહ ચર્ચાની વચ્ચે ઉભા થયા અને કહ્યું કે જો આવું છે તો હું તમને કહી દઉં કે આ બિલ સંયુક્ત સમિતિ સમક્ષ મોકલવામાં આવશે.

આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આવા બિલનો ઉપયોગ વિપક્ષી સરકારો સામે હથિયાર તરીકે થઈ શકે છે. આવા બિલ દેશમાં લોકતંત્રને હંમેશાં માટે ખતમ કરી દેશે અને તે સુપર ઇમરજન્સી તરફનું એક મોટું પગલું છે. આ સમય દરમિયાન, કેટલાક વિપક્ષી સાંસદોએ લોકસભામાં બિલની નકલ ફાડી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી કે કયા સાંસદોએ આવું કર્યું છે. આ દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરે 3:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
