
બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં તેની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જોલી LLB 3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં તે અરશદ વારસી સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. તાજેતરમાં જ, અક્ષય કુમાર ટ્રેલર લોન્ચ માટે કાનપુર આવ્યા હતા, જ્યાં તેમણે માત્ર ફિલ્મ વિશે વાત કરી ન હતી, પરંતુ ગુટખા (તમાકુ)ના સેવન સામે કડક સંદેશ પણ આપ્યો હતો.

કાર્યક્રમમાં, એક પત્રકારે અક્ષય કુમારને કાનપુરના પાત્ર અને ગુટખા સાથે શહેરના જોડાણ વિશે પૂછ્યું. કોઈ પણ ખચકાટ વિના, અક્ષયે જવાબ આપ્યો, ‘ગુટખા ન ખાવો જોઈએ.’ જ્યારે પત્રકારે તેને અટકાવીને વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે અક્ષયે જવાબ આપ્યો, ‘ઇન્ટરવ્યુ મારો છે કે તમારો? હું કહી રહ્યો છું, ગુટખા ન ખાવો જોઈએ, બસ.’ આ વાતચીત ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર પહોંચી ગઈ અને તેની સીધી ટિપ્પણીઓની ક્લિપ્સ વાયરલ થઈ ગઈ. લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. વાયરલ ક્લિપ પર એક યુઝરે લખ્યું, તો પછી તમે ‘જુબાં કેસરી’ કેમ કહો છો કાકા. એક યુઝરે લખ્યું, તમે પોતે પણ જાહેરાત કરો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને ડિસેમ્બર 2023માં ગુટખા સંબંધિત જાહેરાતોમાં કામ કરવા બદલ સરકારી નોટિસ મળી હતી. ભારે ટીકા પછી, અક્ષયે પાન મસાલા બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર પદેથી રાજીનામું આપ્યું હતું અને ચાહકોની જાહેરમાં માફી માંગી હતી. ‘જોલી LLB 3’ ઇવેન્ટમાં તેમના તાજેતરના નિવેદનથી તેમના વલણને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
પ્રખ્યાત કાનૂની નાટક ફ્રેન્ચાઇઝના ત્રીજા ભાગમાં, અક્ષય કુમાર જોલી મિશ્રાની ભૂમિકામાં પાછા ફરશે, જ્યારે અરશદ વારસી જોલી ત્યાગીની ભૂમિકામાં ફરીથી દેખાશે. પીઢ અભિનેતા સૌરભ શુક્લા જજ ત્રિપાઠીની ભૂમિકામાં પાછા ફરી રહ્યા છે, જ્યારે હુમા કુરેશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ પણ કાસ્ટમાં જોડાશે.

તેમની ભૂમિકા વિશે, અક્ષયે કહ્યું, ‘મારા માટે આ એક ખાસ સફર રહી છે. આ ફિલ્મને રોમાંચક બનાવતી વાત એ છે કે, તે ફક્ત એક પાત્રને જીવંત કરવા વિશે નથી, પરંતુ તેને બીજા જોલી સામે ઉભો કરવા વિશે છે, જેને અરશદે શાનદાર રીતે ભજવ્યું છે. અમારી વચ્ચેની ઉર્જા, રમૂજ અને સંઘર્ષે દરેક દ્રશ્યને ખાસ બનાવ્યું. ટ્રેલર એ ગાંડપણની એક માત્ર ઝલક છે. સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત અને સ્ટાર સ્ટુડિયો18 દ્વારા નિર્મિત, ‘જોલી LLB 3’ 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
