fbpx

સૂર્યાએ AAP નેતાની ચેલેન્જ સ્વીકારી, કહ્યું- મારી એશિયા કપની મેચ ફી…

Spread the love
સૂર્યાએ AAP નેતાની ચેલેન્જ સ્વીકારી, કહ્યું- મારી એશિયા કપની મેચ ફી...

પહેલગામ ઘટના બાદ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પર બોખલાયેલી પડોશી દેશ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય ટીમના ઓપરેશન તિલકથી હચમચી ગઈ હતી. આ રોમાંચક ફાઇનલ મેચમાં ભારતના 11 યોદ્ધાઓએ એવી રમત બતાવી કે વિશ્વભરના ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ. ભારતીય ટીમે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનની ટીમને 5 વિકેટથી હરાવી. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમને ત્રીજી વખત હરાવી. પાકિસ્તાની ટીમને હરાવીને ભારતે બતાવી દીધું કે ક્રિકેટમાં બાદશાહી અમારી છે. આ રીતે ભારતે રેકોર્ડ 9મી વખત એશિયા કપ જીત્યો (7 વખત વન-ડે અને બે વખત T20 ફોર્મેટમાં).

suryakumar

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં તેણે કહ્યું કે, તે તાજેતરમાં સમાપ્ત થયેલા એશિયા કપમાંથી પોતાની પૂરી મેચ ફી દેશના સશસ્ત્ર સેનાઓ અને પહેલગામ ઘટનાના પીડિતોને દાન કરશે.  28 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ, સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘મેં આ ટુર્નામેન્ટ માટે મારી મેચ ફી આપણા સશસ્ત્ર સેનાઓ અને પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. તમે હંમેશાં મારા વિચારોમાં રહો છો. જય હિંદ.’

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ટીમ ઈન્ડિયાને ચેલેન્જ આપી હતી કે, તમે દેખાડો ન કરો, તમારામાં હિંમત હોય તો આ એશિયા કપમાં કમાયેલી તમામ રકમ પહેલગામના પીડિતોને ડોનેટ કરી દો. હાલમાં સૂર્યાએ પોતાની મેચ ફી તો ઈન્ડિયન આર્મીને આપવાનું કહ્યું છે. બાકી ખેલાડીઓએ હજુ કોઈ જાહેરાત નથી કરી.

નોંધનીય છે કે, T20 ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓને પ્રતિ મેચ 4 લાખ ફી મળે છે. આમ 7 મેચ રમીને સૂર્યકુમાર યાદવ ભારતીય સેનાને કુલ 28 લાખ રૂપિયાનું દાન કરશે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનથી અંતર જાળવી રાખ્યું. પરિણામે, ભારતીય ટીમે સતત ત્રણ મેચમાં પાકિસ્તાની ટીમને હરાવી અને ટ્રોફી કબજે કરી. ભારતીય ટીમે ફાઇનલ જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણે એવોર્ડ સમારોહ લગભગ એક કલાક માટે વિલંબિત થયો હતો.

Team India

પાકિસ્તાનના ગૃહમંત્રી, ACC અધ્યક્ષ હોવાને કારણે ટ્રોફી આપવા માગતા હતા, પરંતુ ભારતીય ટીમે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. મોહસીન નકવી લગભગ અડધા કલાક સુધી સ્ટેજ પર ઉભા રહ્યા, તેમની સાથે અમીરાત ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ સ્ટેજ પર ઊભા હતા. ભારતીય ટીમ એક તરફ ઉભી રહી, જ્યારે લાંબા સમયથી ડ્રેસિંગ રૂમમાં રહેલી પાકિસ્તાની ટીમ બહાર આવીને બીજી તરફ ઉભી રહી. એક સમયે વિજેતા ટ્રોફીને મેદાનની બહાર પણ લઈ જવામાં આવી હતી. આખરે પ્રેઝન્ટરે કહ્યું કે, ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, જેથી એવોર્ડ સમારોહ સમાપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ મોહસીન નકવી ભાગી ગયો. ભારતીય ટીમે ટ્રોફી વિના ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો. આ પહેલીવાર છે જ્યારે કોઈ વિજેતા ટીમે ટ્રોફી વિના ઉજવણી કરી છે.

error: Content is protected !!