
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચના (1st Test Match) પ્રથમ દિવસે સ્ટેડિયમમાં ખાલી ખુરશીઓ જોવા મળી, જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના નિર્ણય પર સવાલો ઊભા થયા છે.

વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં દર્શકોની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની છે. ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ પણ મેદાન પરની ઓછી ભીડ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે જાણીતા આ મેદાન પર ટેસ્ટ મેચની શરૂઆત જ ‘ખાલી સ્ટેન્ડ્સ’ સાથે થઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટ ચાહકોમાં ટેસ્ટ મેચનો ઉત્સાહ ઘટી રહ્યો છે.

રિપોર્ટ મુજબ ઘણા ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ટેસ્ટ મેચ જોવા માટે લોકો ઉત્સાહિત ન હોય તો બીસીસીઆઈએ આટલા મોટા સ્ટેડિયમને મેચનું સ્થળ શા માટે પસંદ કર્યું.
ભારતીય ક્રિકેટ માટે આ સિરીઝ એક નવા યુગની શરૂઆત પણ છે, જેમાં કેટલાક દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં નથી. પરંતુ મેદાન પરની નીરસતા જોઈને લાગી રહ્યું છે કે ચાહકો હજુ પણ જૂના સ્ટાર્સને મિસ કરી રહ્યા છે. જેમ કે રોહિત શર્મા, વિરાટ કોહલીની ગેરહાજરીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.

પહેલા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઈન્ડિઝની ટીમને માત્ર 162 રનમાં ઓલઆઉટ કરી દીધી, પરંતુ મેદાન પરની ખાલી ખુરશીઓ આ રમતની લોકપ્રિયતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં દર્શકોની સંખ્યા વધે છે કે નહીં.
આ ટેસ્ટ શ્રેણી એશિયા કપના અંત પછી તરત જ શરૂ થઈ હતી, અને તે પણ દશેરાના દિવસે. તો જો આ ક્રિકેટનો ઓવરડોઝ નથી, તો શું છે?
