
ગુજરાતમાં નવરાત્રિના રંગમાં ભંગ પડ્યા બાદ હવે દિવાળીના તહેવાર પર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.
દિવાળી આસપાસ વરસાદી ઝાપટાં
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 18 થી 28 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે. આ વરસાદ મધ્ય અને ઉત્તર ભારતમાં વરસી શકે છે. જો આ આગાહી સાચી પડશે તો નવરાત્રિની જેમ દિવાળીની ઉજવણીમાં પણ મેઘરાજા વિઘ્ન નાખી શકે છે.

નવરાત્રિ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે અમદાવાદ સહિતના ગરબા પંડાલમાં આયોજન મોકૂફ રાખવું પડ્યું હતું અને ખેલૈયાઓ નિરાશ થયા હતા.
સાયક્લોનિક સિસ્ટમ અને શિયાળાની આગાહી
અંબાલાલ પટેલે રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે નવેમ્બરમાં એક મોટું સાયક્લોન સર્જાઈ શકે છે.
વરસાદ ઉપરાંત, તેમણે શિયાળા વિશે પણ આગાહી કરી છે કે 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે, અને આ કડકડતી ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે.
રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 117.88 ટકા વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ મુજબ: કચ્છ: 148.14 ટકા, ઉત્તર ગુજરાત: 121.48 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત: 116.92 ટકા, સૌરાષ્ટ્ર: 108.40 ટકા, દક્ષિણ ગુજરાત: 122.92ટકા નોંધાયો છે.
હાલમાં, રાજ્યમાં અમુક સ્થળે છૂટાછવાયા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ આગામી ત્રણ દિવસ સુધી કોઈ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી.
